દરેક ગામના ચોરે બેઠેલા દુ:ખિયાના બેલી બજરંગદાસ બાપાનો જન્મ ક્યાં થયો હતો? જાણો તેની રસપ્રદ ગાથા

Bajrangdas Bapaa: ગુજરાતના સૌરાષ્ટ્રની ભૂમિ સંતો અને મહંતોની ભૂમિ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રની ભૂમિ પર અનેક સંતો મહંતો થઈ ગયા છે. જે સમગ્ર વિશ્વમાં પૂજનીય બન્યા છે. જલારામ બાપા-વિરપુર, બજરંગદાસ બાપા-બગદાણા, શામજીબાપુ-સતાધાર જેવા અનેક સંતો, મહંતો આ ભૂમિ પર થઈ ગયા છે. ભાવનગર જિલ્લાના બગદાણામાં પરમ પૂજ્ય બજરંગદાસ બાપા (Bajrangdas Bapaa) થઈ ગયા છે. પરંતુ કેટલાક લોકોને તેમનો ઇતિહાસ વિશે ખબર નહિ હશે, તો ચાલો જાણીએ બજરંગદાસ બાપાનો ઇતિહાસ.

બગદાણા ધામમાં રોજના હજારો-લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. અને 24 કલાક માટે હરિહરનો નાદ શરૂ હોય છે. તમને જણાવી દઈએ કે બગદાણા ધામ બજરંગદાસ બાપુની પાવનકારી જગ્યા આવેલી છે. આ જગ્યામાં ભજન અને ભોજન અવિરતપણે શરૂ હોય છે. સૌરાષ્ટ્રની ધરતી પર આવેલું બગદાણા ધામ એ જગ્યા લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. 

બજરંગદાસ બાપાનું જન્મસ્થળ
બજરંગદાસ બાપાનો જન્મ ઈ.સ 1906ની સાલમાં થયો હતો. બજરંગદાસ બાપાના ઇતિહાસ વિશે સૌ કોઈ લોકો જાણકાર હોય છે પરંતુ ખૂબ જ ઓછા લોકોને એ વાતની ખબર હશે કે, બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ કઈ જગ્યાએ આવેલું છે. બગદાણા એ બજરંગદાસ બાપાની કર્મભૂમિ છે અને તેઓ લાખણકા રહેતા હતા.

પરંતુ બજરંગદાસ બાપાનો જન્મ ભાવનગરથી ત્રણ થી ચાર કિલોમીટરના અંતરે આવેલ અધેવાડા જ્યાં ઝાંઝરીયા હનુમાનજીની પૌરાણિક જગ્યાએ  થયો હતો. બજરંગદાસ બાપાના માતાનું નામ શિવકુવરબા અને તેમના પિતાનું નામ હરિદાસજી હતું. પિતા હરિદાસજી જે વલભીપુરના લાખણકા ગામના વતની હતા.

તેમના જન્મસ્થળ અંગે વાત કરતા ઝાંઝરીયા હનુમાનજી મંદિરના મહંતે જણાવ્યું કે, બજરંગદાસ બાપાના માતા તેમના પિયર માલપર આવીને રહ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તે સમયે રોડ રસ્તા કાચા હતા અને વાહનોની સગવડ પણ ન હતી. માતાને પ્રસુતિ પીડા થતા ઝાંઝરીયા હનુમાનજી મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. આ વાત ઘણા ઓછો લોકોને ખબર હશે.

તમને જણાવી દઇએ કે ભાવનગર નજીક આવેલ અધેવાડા ગામ જ્યાં શ્રી ઝાંઝરીયા હનુમાનજી મંદિર આવેલું છે. ઝાંઝરીયા હનુમાનજી મંદિર પણ ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે. અંદાજિત મંદિર 700-800 વર્ષ જૂનું હોવાનું પણ મહંતે જણાવ્યું હતું. હાલ આ જગ્યા પ.પૂ. શ્રી બજરંગદાસ બાપાના જન્મ સ્થળ શ્રી ઝાંઝરીયા હનુમાનજી મંદિર તરીકે ઓળખાય છે. આજે પણ આ મંદિર નજીક જગ્યાએ બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો તે ઓરડો પણ છે અને મકાન પણ છે.