વડતાલ ધામમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી; આચાર્ય શ્રીના હજારો હરિભક્તોએ લીધા આશીર્વાદ

Vadatal Mandir Gurupurnima Celebration: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આસ્થા અને ઉપાસનાના મધ્યબિંદુ વડતાલ ધામમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે પવિત્રાનંદ સ્વામીના સભામંડપમાં સ.ગુ.નીલકંઠચરણસ્વામીએ વડતાલ(Vadatal Mandir Gurupurnima Celebration) મહિમાની કથાનું સુમધુર શૈલીમાં રસપાન કરાવ્યું હતું. જેમાં પૂજન માટે હજારોની સંખ્યામાં સત્સંગીઓનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.

વડતાલ મંદિરમાં મંગળા આરતીથી ભક્તોનું કીડીયારુ ઉભરાયું હતું. મંગળા આરતી બાદ રાકેશપ્રસાદજી મહારાજે નીજ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજનું પુજન કરી આરતી ઉતારી હતી. મંદિરના ભુદેવ ધિરેનભાઇ ભટ્ટે પૂજાવિધિ કરાવી હતી.જેમાં સૌ પ્રથમ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બંને લાલજી મહારાજએ સંપ્રદાયના ગુરુપદે બિરાજમાન આચાર્ય મહારાજનું સમગ્ર સત્સંગીઓ વતી પૂજન કર્યું હતું. આ પ્રસંગે વડતાલ ગઢડા, જૂનાગઢથી ઉપસ્થિત સંતોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા અને અંતે પ.પૂ. લાલજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા આચાર્ય મહારાજ અજેન્દ્રપ્રસાદજી મહારાજએ આશિર્વાદ આપતાં કહ્યું હતું કે ભગવાને ચિંધેલા રાહ અને શાસ્ત્રોએ ચીંધેલા માર્ગ પર ચાલવાથી જ ભગવદ્ પ્રાપ્તિ થાય છે

આચાર્ય મહારાજે પૂજાવિધિ બાદ શ્રી હરિકૃષ્ણ મહારાજ પાસે સત્સંગમાં સુખ-શાંતિ પ્રવર્તે અને સત્સંગનો વિકાસ થાય તેવા સત્સંગ સમાજ વતી આર્શિવાદ માંગ્યા હતા. સવારે 9.30 કલાકે આચાર્ય મહારાજ મંદિરના કોઠારી સંતસ્વામી તથા ચેરમેન દેવપ્રકાશસ્વામી, હરિજીવન સ્વામી ચેરમેન ગઢપુર , પી પી સ્વામી જુનાગઢ ચેરમેન અને અગ્રણી સંતો સાથે સભામાં પધાર્યા.

આચાર્ય મહારાજ અને સંતોના હસ્તે દ્વિશતાબ્દી મહોત્સવ રથનું પૂજન કરવામાં આવ્યું હતું અને આ રથ સમગ્ર રાજ્યના બે હજાર ઉપરાંત ગામોમાં ફરી મહોત્સવમાં પધારવા ગ્રામજનોને આમંત્રણ પાઠવશે.મહારાજે કથાના વક્તા નીલકંઠચરણ સ્વામીને હાર પહેરાવી આર્શિવાદ પાઠવ્યા હતા.કથાની પૂર્ણાહુતી બાદ વડતાલ, જુનાગઢ, ગઢપુર ટેમ્પલ બોર્ડના ચેરમેન-કોઠારીઓ તથા ટ્રસ્ટી મંડળના સભ્યોએ સભામંડપમાં આચાર્ય મહારાજનું ગુરુપૂજન કર્યું હતું. જે બાદ સંપ્રદાયના વડતાલ તાબાના મંદિરના કોઠારીઓ તથા યજમાનો દ્વારા મહારાજનું પુજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગઢપુર ટેમ્પલ બોર્ડના ચેરમેન હરિજીવનદાસ સ્વામીએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતુ તથા દ્વિશતાબ્દી મહોત્સની રૂપરેખા આપી હતી.

વડતાલ મંદિરના સલાહકાર બાપુસ્વામી, એસજીવીપી ગુરૂકુળના બાલકૃષ્ણસ્વામી, સુરત રામપુરા મંદિરના કોઠારી પી.પી.સ્વામી, તથા વડતાલ મંદિરના કોઠારી સંતવલ્લભસ્વામીએ ભારતીય સંસ્કૃતિમાં ગુરૂપૂર્ણિમાનું અનેરૂ મહત્વ છે શિષ્યો દ્વારા ગુરૂનું ઋણ અદાકરવાનો દિવસ એટલે ગુરૂ પૂર્ણિમા શ્રી સ્વામિનારાયણ ભગવાને રામાનંદસ્વામી થકી દિક્ષા ગ્રહણ કરી ગુરૂ-શિષ્યનો સબંધ કેવો હોય તેની રૂપરેખા સમજાવી હતી.