શરમ કરો! ગુજરાતમાંથી 2 કરોડ 57 લાખનું સરકારી અનાજ કરાયું સગવગે, ગૃહમાં અનાજના ચોંકાવનારા આંકડા રજૂ

Gujarat Grain Scam: સરકાર દ્વારા ગરીબોને કોળિયાના રૂપે અનાજ આપવામાં આવે છે. પંરતુ કેટલાક ઈસમો ગરીબના કોળિયાનો પણ સોદો કરી નાખતા હોય છે. એક વખત નહીં પરંતુ અનેક વખત રાજ્યમાંથી ગરીબોના અનાજની સરેઆમ ચોરી થઈ રહી છે. ગુજરાત વિધાનસભામાં(Gujarat Grain Scam) આજે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં અનાજ સગેવગે કરવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં સરકારી અનાજ સગેવગે કરવામાં ચોંકાવનારી વિગતો ગૃહમાં રજૂ કરાઈ હતી. જેમાં ખુદ સરકારે કબૂલ્યું કે, રાજ્યના 11 જિલ્લાઓમાંથી 14 લાખ 54 હજાર 726 કિલોગ્રામ અનાજનો મસમોટો જથ્થો સગેવગે થયો છે.

સરકારી અનાજ સગેવગે કરવામાં ચોંકાવનારી વિગતો સામે આવી
સરકારે વિધાનસભામાં આપેલી માહિતી મુજબ, ગુજરાતના 11 જિલ્લામાં રૂપિયા 2 કરોડ 57 લાખ 986 કિંમતનો અનાજનો જથ્થો સગેવગે થયો છે. આ અનાજ ગરીબો માટે હતું. જે બારોબાર ક્યાં ગયુ એ કોઈને ખબર નથી. અથવા તો સરકાર ખબર પાડવા માંગતી નથી.તો ગતરોજના પંચમહાલના ગોધરા શહેરમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા ડુપ્લીકેટ સોફ્ટવેર બનાવી આનાજ ચાઉં કરવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારીને પોલીસ ફરિયાદ ન કરવાની ટેલીફોનિક ભલામણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે

ગઈકાલે ગોધરામાં નોંધાઈ ફરિયાદ
કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્ન પર સરકારે ગૃહમાં આ જવાબ આપ્યો હતો. જેમાં સુરતમાં સૌથી વધુ 4.99 લાખ કિગ્રા સરકારી અનાજનો જથ્થો સગેવગે થયો છે. તો સાબરકાંઠા જિલ્લામાં 4.77 લાખ કિગ્રા સરકારી અનાજનો જથ્થો સગેવગે થયો છે.હજી ગઈકાલે જ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આ કૌભાંડ સામે આવ્યું છે. ગોધરામાં ગરીબોનું અનાજ ચાઉં કરી જવાનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા ઉભી થઈ છે. ડુપ્લિકેટ સોફ્ટવેરના સહારે અનાજ ચાઉં કરી જતાં હતા.

આ સમગ્ર મામલામાં ગુજરાતના મોટા નેતાનો અધિકારી પર પોલીસ ફરિયાદ ન કરવા ફોન આવ્યો હોવાની વાતે હડકંપ મચાવ્યો છે. જેમાં આ રેકેટની અંદર જિલ્લા પુરવઠા અધિકારીને પોલીસ ફરિયાદ ન કરવાની ભલામણ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ગરીબોનું અનાજ ડુપ્લીકેટ સોફ્ટવેરની મદદથી સગેવગે કરવાના ગંભીર ગુનામાં પોલીસ ફરિયાદ ન કરવા મોબાઈલ નંબર પરથી ભલામણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. ભલામણ કરવા માટે આવેલા ફોન નંબરની તપાસ કરતા ફોન નંબર રામસી કરંગીયાનો હોવાનો ખુલાસો થયો છે. રામસી કરંગીયા નરેન્દ્ર મોદી વિકાસ મિશનના ગુજરાત પ્રદેશના પ્રમુખ હોવાનું પણ સામે આવ્યું છે.