BJPએ 160 બેઠકો માટે બનાવ્યો ખાસ પ્લાન! માર્ચના પ્રથમ સપ્તાહમાં ભાજપ 100 ઉમેદવારોના નામ કરી શકે છે જાહેર

Loksabha Election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) 2024ની લોકસભા ચૂંટણી(Loksabha Election 2024) જીતવા માટે હારેલી બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 2019માં હારેલી બેઠકો માટે ભાજપ ગયા વર્ષથી યોજનાઓ બનાવી રહ્યું છે.જેમાં ભાજપા પાર્ટી આવી 160 બેઠકો પર સતત નજર રાખી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિનાના અંત સુધીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી લોકસભા ચૂંટણી માટે 100 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.

બંગાળ, મહારાષ્ટ્ર અને યુપી પર વિશેષ ધ્યાન
સૂત્રોએ જણાવ્યું કે આ યાદીમાં દેશના વિવિધ ભાગો જેમ કે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુની બેઠકોનો સમાવેશ થઈ શકે છે. આ બેઠકો એવી છે જે ભાજપે 2019ની ચૂંટણીમાં ગુમાવી હતી. ગત વખતે યુપીમાં ભાજપે 62 સીટો જીતી હતી. તે જ સમયે, પાર્ટીની નજર બંગાળની તે બેઠકો પર છે જ્યાં તેના ઉમેદવારો ગત વખતે નજીકના માર્જિનથી હારી ગયા હતા.

હારેલી 160 બેઠકો પર રહેશે નજર
ગયા વર્ષે, પાર્ટીએ તેના નબળા વિસ્તારો તરીકે 160 બેઠકોની ઓળખ કરી હતી અને આ વિસ્તારોમાં જોરદાર પ્રચાર અને જનસંપર્ક કાર્યક્રમો હાથ ધર્યા હતા.સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી લડનાર કેટલાક કેન્દ્રીય મંત્રીઓ પણ આ યાદીમાં સામેલ થઈ શકે છે. પાર્ટી કોઈપણ ભોગે આમાંથી કેટલીક બેઠકો જીતવા માંગે છે.

29મી ફેબ્રુઆરીએ જાહેરાત કરવામાં આવશે
પક્ષના સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ઉમેદવારોની યાદી તૈયાર છે અને માત્ર કેન્દ્રીય ચૂંટણી સમિતિની મંજૂરીની જરૂર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સમિતિ 29 ફેબ્રુઆરીએ મળી શકે છે, કારણ કે 22 ફેબ્રુઆરીએ યોજાનારી બેઠક નેતાઓના અન્ય કાર્યક્રમોને કારણે મોકૂફ રાખવામાં આવી હતી.

ભાજપનો પ્લાન તૈયાર
નોંધનીય છે કે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાનું રાષ્ટ્રીય અધિવેશન, જે 29 ફેબ્રુઆરીએ યોજાવાનું હતું, તે મોકૂફ રાખવામાં આવ્યું છે. પાર્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા આ સંમેલનમાં ભાગ લેવાના હતા. હાલમાં આ સંમેલન યોજવાની કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.

વિધાનસભાની વ્યૂહરચના
છેલ્લી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે નબળી બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત ઘણી અગાઉ કરી દીધી હતી. પાર્ટીએ આવા વિસ્તારોમાંથી પોતાના વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતાર્યા અને તેને આ વ્યૂહરચનાનો ફાયદો પણ મળ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે લોકસભા ચૂંટણી માટે પણ આવી જ રણનીતિ અપનાવવામાં આવી રહી છે.બીજી તરફ પંજાબ અને આંધ્રપ્રદેશમાં નવા ગઠબંધન માટે ચાલી રહેલી ચર્ચાના પરિણામની પણ ભાજપ રાહ જોઈ રહી છે. આ ઉપરાંત, બિહાર અને યુપીમાં નવા ગઠબંધન ભાગીદારો છે, જ્યાં પાર્ટીએ બેઠકો વહેંચવાની છે.