પૂરે વેરેલા વિનાશ બાદ વડોદરાના પૂરગ્રસ્તો માટે ગુજરાત સરકારની સહાયની જાહેરાત; જાણો વિગતે

Vadodara Flood News: ભારેથી અતિભારે વરસાદ અને તંત્રની લાપરવાહી કે બેદરકારીને કારણે આવેલ પૂરથી વડોદરા જિલ્લાના વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. આ પૂરના કારણે વાણિજય, વેપાર અને સેવાકીય એકમોને નુકશાન પહોંચ્યું હતુ. જેથી આવા અસરગ્રસ્ત (Vadodara Flood News) વિસ્તારમાં વેપાર ધંધા ખૂબ ઝડપથી પુનઃકાર્યાન્વિત થાય તે માટે રાજય સરકારની આર્થિક સહાય તેમજ પુનઃવસન સહાય આવશ્યક બની છે.

જેના કારણે વડોદરા જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વેપાર, વાણિજય અને સેવાકીય એકમોને આર્થિક સહાય તેમજ પુનઃવસન સહાય આપવામાં આવશે. અતિવૃષ્ટીથી નુકસાન સામે રાજ્ય સરકારે 600 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.

પૂરના કારણે વડોદરાવાસીઓને ભારે સંકટ વેઠવાનો વારો આવ્યો હતો
અતિવૃષ્ટિના કારણે વડોદરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ધંધાઓને ભારે નુકસાન થયું છે. સતત વરસાદ અને પૂરના પાણીને કારણે નાના વેપારીઓને તેમની દુકાનોમાં મુકેલા માલમાં મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. લારી- ગલ્લાવાળા અને નાના વેપારીઓ માટે આ નુકસાનીના પગલે તેઓનું રોજિંદું જીવન ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. ઘરવખરી, માલમસાલાની મોટી ખોટ અને વ્યવસાય ઠપ થવાને કારણે લોકો આર્થિક રીતે સંકટમાં મુકાયા છે.

સરકારે આર્થિક પેકેજની કરી જાહેરાત
સરકારના આ પેકેજ હેઠળ, જે લોકોને ધંધો, દુકાન, અથવા લારી-ગલ્લામાં નુકસાન થયું છે, તેમને નાણાકીય સહાય મળી રહેશે. આ સહાય તેમને ફરીથી તેમના ધંધા પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત, સરકારે આ વાતની પણ ખાતરી કરી છે કે, જેના ઘરોને પણ નુકસાન થયું છે.

તેઓને પણ આર્થિક સહાય આપવામાં આવશે. સંભવતઃ આજે સાંજ સુધીમાં આ પેકેજની વિધિવત જાહેરાત કરવામાં આવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા પ્રતિકાર કરતી જનતાને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે તમામ જરૂરી નીતિગત પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પ્રમાણે સહાય આપવામાં આવશે
લારી/રેકડી ધારકને ઉચ્ચક રૂ. 5,000 ની રોકડ સહાય આપવામાં આવશે.40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 20,000 ની રોકડ સહાય કરવામાં આવશે. તેમજ 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂ. 40,000 ની રોકડ સહાય આપવામાં આવશે, તેમજ નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂ. 85,000 રોકડ સહાય આપવામાં આવશે અને માસિક ટર્નઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને રૂ. 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજસહાય 7% ના દરે રૂ. 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે.