કારમાલિકોને ઉંચા ભાડાની લાલચ આપી ગાડી લઇ જઈ બારોબાર વેચી મારતો અલ્પેશ જાડિયો પકડાયો

અમરેલી: અમરેલી પોલીસે બારોબાર કાર વેચી લોકો સાથે છેતરપીંડી કરનાર ચાર આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડ્યા છે. ઊંચા ભાડાની લાલચ આપી કાર ભાડે મેળવ્યા બાદ બારોબાર વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ અમરેલી પોલીસે કર્યો છે. અમરેલી પોલીસે સુરતથી ચાર શખ્સોને પોણા ચાર કરોડની કિંમતની 28 કાર સાથે ઝડપી પાડ્યા છે.

પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સુરત મેટ્રો પ્રોજેક્ટમાં કાર ભાડે મુકવાની વાત કરી ઠગ ટોળકી લોકો પાસેથી કાર ભાડા પર મેળવતા હતા અને બે ત્રણ મહિના ભાડું ચૂકવ્યા બાદ કારનો સોદો બારોબાર કરી ફરાર થઇ જતા હતા. હાલમાં અમરેલી પોલીસે સુરત ખાતેથી 4 આરોપીને 28 કાર અને પોણા ચાર કરોડની કિંમતની સાથે ઝડપી પાડી આગળની કાયર્વાહી હાથ ધરી છે.

રાજ્યના અન્ય જિલ્લાના કારમાલિકો પણ આ ટોળકીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં 28 કાર કબજે કરી લીધી છે. આગામી દિવસોમાં આ આંકડો વધવાની પૂરી શક્યતા છે. સુરત મેટ્રો પ્રોજેક્ટમાં કાર ભાડે મૂકવાની વાત કરી ઠગ ટોળકી કારમાલિકો પાસેથી કાર ભાડા પર મેળવતા હતા. બે ત્રણ મહિના સુધી ભાડું પણ આપતા હતા. અને ત્યાર બાદ કારને બારોબાર વેચી નાખતા અથવા ગિરવે મૂકી પૈસા ઉપાડી લેતા હતા અને કારમાલિકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા.

મળતી માહિતી અનુસાર સુરતમાં રહેતા અલ્પેશ જરીવાલા, મયૂર સાંડીસ, યોગેશ પટેલ અને મીત રાઠોડ નામના શખ્સોની આ રેકેટમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. મયૂર સાંડીસ નામના શખ્સનું અમરેલી કનેકશન હોય તે અમરેલીના કારમાલિકોને સુરતના મેટ્રો પ્રોજેક્ટ માટે કારની જરૂરિયાત હોઇ ભાડે મેળવવા માટે ઊંચા ભાડાની લાલચ આપતો હતો. આરોપીઓ કાર ભાડે મેળવ્યા બાદ બે ત્રણ મહિના સુધી કાર માલિકોને ભાડાની ચૂકવણી પણ કરતા હતા. પરંતુ, બાદમાં કારને ત્રીજા વ્યકિતને સસ્તા ભાવે વેચી નાખતા અથવા તો ગિરવે મૂકી પૈસા લઈ લેતા હતા. ત્યારબાદ કારના મૂળ માલિકોને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા.

રાજ્યના કેટલાક જીલ્લામાંથી કાર છેતરપીંડીના કિસ્સા સામે આવ્યા બાદ અમરેલી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં તેમને સુરતથી સફળતા મળી છે. ત્યારે આ કેસનો માસ્ટર માઈન્ડ અલ્પેશ જરીવાલા છે. જ્યારે મયૂર સાંડીસ નામનો શખ્સ હાલ સુરતમાં રહે છે પરંતુ, તેનું અમરેલી કનેક્શન છે. મયૂર જ અમરેલીના લોકો પાસેથી કાર મેળવી અલ્પેશને પૂરી પાડતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે યોગેશ પટેલ અને મીત રાઠોડ બંને અલ્પેશની ઓફિસમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આ 4 આરોપીએ અમરેલી જીલ્લાના કેટલાક કારમાલિકો સાથે છેતરપીંડી આચરી હતી.

અલ્પેશ જરીવાલાનો ગુનાખોરી ઈતિહાસ
કાર બારોબાર વેચી નાખવાના કેસના માસ્ટર માઈન્ટ અલ્પેશ જરીવાલા ઉર્ફે અલ્પેશ જાડિયો સામે પ્રોહિબિશનના 8, છેતરપિંડીના 2, મારામારીનો 1, જુગારના 2, ચોરીનો 1 અને આર્મ્સ એક્ટના 1 ગુના સહિત કુલ 15 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે અમરેલીના લાલજીભાઈ મકવાણાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ અમરેલી પોલીસ એક્ટિવ થઈ હતી. આ ફરિયાદમાં અન્ય ભોગ બનનારા 23 સાહેદો પણ છે. સુરતમાં રહેતા લોકોએ અમરેલીથી કાર મેળવ્યા બાદ ગુજરાતનાં અલગ અલગ શહેરો ઉપરાંત અન્ય રાજ્યોમાં વેચી નાખી હતી. જેથી પોલીસે એક બાદ એક કાર કબજે કરી હતી. અત્યાર સુધીમાં પોલીસે 28 કાર જપ્ત કરી છે. જેની કિંમત પોણા ચાર કરોડ રૂપિયા થવા જાય છે. પોલીસનું કહેવું છે કે હજી કાર ચોરીના આંકડા વધી શકે છે. પોલીસના મતે આ સમગ્ર કૌભાંડ છેલ્લા છ મહિના દરમિયાન જ આચરવામાં આવેલું છે.