કોરોનાનો ચેપ બાળકોને કઇ રીતે લાગી શકે? કઇ રીતે તમારા બાળકને કોરોનાથી બચાવી શકાય- દરેકે ખાસ વાંચવા જેવો છે આ લેખ

કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ…

કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે. હાલ શહેરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે, કોરોનાની બીજી લહેરમાં યુવાનો, મહિલાઓ, વૃદ્ધો જ નહિ પરંતુ નાના બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ દરમિયાન આજે અમે તમને દરેક માતા પિતાએ બાળકની કઈ રીતે કાળજી લેવી જોઈએ તે અંગે જણાવવા જઈ રહ્યા છીએ.

બાળકોને કોરોનાનો ચેપ ક્યાંથી લાગી શકે?
કોરોના વાયરસનું સંક્રમણ 5 વર્ષથી નાની ઉંમરના બાળકોને ઝડપથી લાગી રહ્યું છે, જેને લઈ માતા પિતામાં ચિંતાનોમાહોલ છવાયો છે. બાળકોને મોટા ભાગે ઘરમાંથી બહાર નોકરી ધંધે જતાં વ્યક્તિ દ્વારા કોરોનાનું સંક્રમણ લાગી શકે છે. આ ઉપરાંત બાળકોને સોસાયટીમાં સાથે રમતા અન્ય બાળકો અથવા અન્ય કોઈ ભીડ વાળી જગ્યાએથી અજાણ્યા વ્યક્તિ દ્વારા પણ કોરોનાનું સંક્રમણ લાગી શકે છે.

નાના બાળકોમાં કોરોનાના ક્યાં લક્ષણો જોવા મળે છે?
જણાવી દઈએ કે, નાના બાળકોમાં મોટાભાગે તાવ, ગળું દુ:ખવું, માથું દુ:ખવું, શરીરનો દુ:ખાવો, શરદી-ખાંસી, ઉલ્ટી, ઝાડા, પેટનો દુ:ખાવો જેવા કોરોનાના લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત વધુ સંક્રમણ ફેલાતાં ગંભીર લક્ષણો પણ જોવા મળે છે. જેમ કે, ખૂબ અશકિત લાગવી, ખોરાક બંધ થઈ જવો, ખૂબ ખાંસી આવવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી. જો આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક બાળકોનો રેપિડ કે RT-PCR ટેસ્ટ કરાવવો જોઈએ. સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોમાં આનાથી વિશેષ અન્ય કોઈ પણ રિપોર્ટ કરાવવાની જરૂર નથી, જ્યારે ગંભીર લક્ષણો ધરાવતાં બાળકોમાં સારવાર માટે જરૂરી એવા અન્ય રિપોર્ટ જેવા કે, CBC, CRP, LFT, D-Dimer, Ferritin કરાવી લેવા જોઈએ.

બાળકના કોરોના RT-PCR રિપોર્ટમાં Ct વેલ્યુનું મહત્વ નથી
કોરોનાના  RT-PCR રિપોર્ટમાં Ct વેલ્યુ લખેલી હોય છે. જેમાં Ct વેલ્યુ ખૂબ ઓછી હોય તો ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ એવું લખેલું હોય છે, જ્યારે Ct વેલ્યુ વધુ હોય તો ઇન્ફેક્શનનું પ્રમાણ ઓછું એવું લખેલું હોય છે. જણાવી દઈએ કે, આ બાબત બાળકોના કોરોનાના RT-PCR રિપોર્ટમાં લાગુ પડતી નથી. બાળકોના કોરોના રિપોર્ટમાં Ct વેલ્યુનું કોઈ મહત્વ નથી. બાળકની સારવાર લક્ષણો મુજબ કરવામાં આવે છે.

નાના બાળકોમાં છાતીનો સિટી સ્કેન કરાવી શકાય? 
વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય તો તે સિટી સ્કેન કરાવે છે. પરંતુ મોટાભાગના બાળકોમાં કોરોના હોવાં છતાં તેના ગંભીર લક્ષણો જોવા મળતા નથી. બાળકોમાં કોરોના એટલો ઝડપથી ફેફસામાં ફેલાતો નથી. જેથી સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોમાં છાતીનો સીટી સ્કેન કરવાની જરૂર નથી, પરંતુ ખૂબ ખાંસી હોય, છાતીમાં દુખાવો થાય, શ્વાસમાં તકલીફ પડે તો ચોક્કસથી બાળકનો સીટી સ્કેન કરાવવો જોઈએ.

કોરોના સંક્રમિત બાળકની શું સારવાર કરી શકાય?
મોટાભાગના સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોમાં કોરોના કોઈ ચોક્કસ દવા વગર, જરૂરી પુરતી તાવની કે ખાંસીની દવા આપવાથી જ સારો થઈ હતો હોય છે. પરંતુ, ગંભીર લક્ષણો ધરાવતાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરીને રેમડેસિવીરના ઇન્જેક્શન આપવામાં આવે છે. પરંતુ બાળકને પુખ્ત વયના દર્દીમાં વપરાતી દવાઓ જેવી કે, Fevioaravir, Ivermectin, Doxycyclin આપવામાં આવતી નથી.

નાનું બાળક કોરોના સંક્રમિત થયું હોય તો શું તેને પણ 14 દિવસ આઇસોલેટ રાખવુ પડે?
હા, નાના બાળકને કોરોના થયો હોય તો તેને પણ 14 દિવસ આઇસોલેટ રાખવુ પડે છે. બાળકને ઘરમાં તેના માતા પિતા સાથે રાખવાનું હોય છે. પરંતુ ઘરના 50 વર્ષથી વધુ ઉંમરના વડીલને અથવા કોમૉર્બીડીટી વાળા વ્યક્તિને સંક્રમિત બાળકથી અલગ રાખવા જોઈએ. જો ઘરના તમામ સભ્યોને કોરોના થયો હોય અને બાળકનો રિપોર્ટ નેગેટિવ હોય તો આવા બાળકને બીજાના ઘરે આપવું જોઈએ નહી. કેમ કે, આવું બાળક રિપોર્ટ નેગેટિવ હોવા છતાં કોરોનાથી સંક્રમિત હોઈ શકે છે જેનાથી બીજાના ઘરમાં પણ કોરોના ફેલાઈ શકે છે.

કોરોના પોઝિટિવ માતા બાળકને ધાવણ આપી (દૂધ પીવડાવી) શકે?  
કોરોના પોઝિટિવ મહિલાની પ્રસૂતિ થઈ હોય તો તેનું બાળક પણ મોટાભાગે કોરોના પોઝિટિવ જ હોય છે. પણ જો બાળક કોરોના નેગેટિવ હોય તો પણ માતાએ પોતાના બાળકને દૂધ પીવડાવવું જ જોઈએ. આટલું જ નહિ પણ કોઈ માતા કોરોનાથી સંક્રમિત થઈ હોય અને તેનું બાળક નાનું હોય અને તેનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ માતાએ પોતાના બાળકને દૂધ પીવડાવવું જોઇએ. માતાએ પોતાના બાળકને દૂધ પીવડાવતા સમયે માસ્ક પહેરવું જોઈએ, ફેસ શિલ્ડ લગાવવું જોઈએ, સાથે જ હાથ સેનેટાઈઝ કરવા જોઈએ. આ ઉપરાંત બાળકને દૂધ પીવડાવ્યા બાદ માતાએ તેને 6 ફૂટના અંતરે રાખવુ જોઇએ.

નાના બાળકોને કોરોનાથી બચવાના ઉપાયો શું? 
નાના બાળકોને કોરોના મોટાભાગે ઘરના વ્યક્તિઓથી જ લાગે છે તેવામાં ઘરમાંથી કામકાજ માટે બહાર નીકળતા વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, તે જાહેર જગ્યાઓ પર હમેશાં સોશીયલ ડિસ્ટન્સ જાળવી રાખે. માતાએ નાક અને મોઢું ઢંકાય એ રીતે ટ્રીપલ લેયર માસ્ક પહેરવું અને વારંવાર હાથ સેનેટાઈઝ કરવા જોઈએ. ઘરમાં વ્યક્તિ પ્રવેશે ત્યારે તરત બાળક પાસે ન જવું જોઈએ. તેમણે પહેલા સ્નાન કરવું જોઈએ, કપડાં બદલવા જોઈએ બાદમાં જ બાળક પાસે જવું જોઈએ.

સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબ ડો. શીલા ઐયર કહે છે કે, રોજ સયાજી હોસ્પિટલમાં જ 5 થી 6 કોરોના પોઝિટિવ બાળકો આવે છે. ઉપરાંત છેલ્લા 15 દિવસમાં તો 75 બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 90 ટકા બાળકો હોમ આઇસોલેટ રહીને જ સાજા થઈ રહ્યા છે. ત્યારે દરેક માતા પિતાએ પણ કોરોનાની બીજી લહેરમાં બાળકની વિશેષ કાળજી લેવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *