મધરાત્રે સુરતમાં લોહિયાળ જંગ: રૂપિયાની લેતીદેતીમાં યુવકની સરાજાહેર હત્યા

Surat News: સુરત શહેરમાં(Surat News) જાણે પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અસામાજિક તત્વોને કોઈનો ડર જ રહ્યો નથી. તે રીતે ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે.તેમજ જાહેરમાં હત્યાઓના બનાવ બની રહ્યા છે. મંગળવારે મધરાત્રે શહેરના અઠવાગેટ વિસ્તારમાં મહાવીર હોસ્પિટલની સામે રોડ પર એક યુવકની ચપ્પુના ઘા મારી હત્યાની ઘટના બની છે. જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી.

જાહેરમાં જ યુવકને રહેંસી નાખ્યો
અઠવાગેટ મહાવીર હોસ્પિટલ બહાર મિત્રો એ મિત્ર ને 5-6 ઘા મારી પતાવી દેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મધરાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં થયેલી પિંકેશ નવસારીવાળાની હત્યા પાછળ રૂપિયાની લેતી દેતી કે આંતરિક ઝગડો કારણભૂત હોવાની વાત સામે આવી છે.પિંકેશ હત્યા કેસમાં સંડોવાયેલો મુખ્ય સૂત્રધાર અક્ષુ પટેલ સૂર્યા મરાઠા ગેગનો સાગરીત હોવાનું સામે આવ્યું છે. બે કારમાં આવેલા અક્ષુ ગેગે પિંકેશને ફોન કરીને બોલાવ્યા બાદ જાહેરમાં રહેંસી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આરોપી સૂર્યા મરાઠી ગેંગનો હતો
મળતી માહિતી મુજબ હત્યા કરનાર આરોપીઓ સુરતની માથાભારે ગેંગ સૂર્યા મરાઠીના સાગરીતો હોવાનું હાલ જાણવા મળ્યું છે જ્યારે મરનાર પીન્ટુ નવસારીવાળા પોલીસનો બાતમીદાર હોવાનું જાણવા મળ્યું છે. પીન્ટુ જમીનની લે-વેચ સહિત ફાયનાન્સના ધંધા સાથે પણ સંકળાયેલો હતો. હત્યા કરનાર આરોપીઓ અને મરનાર પીન્ટુ મિત્રો જ હતા અને તેમના વચ્ચે રૂપિયાને લઇ છેલ્લા થોડા દિવસોથી રકઝક ચાલી રહી હતી.

મૃતકની ઉંમર માત્ર 33 વર્ષની હતી
પરિવારે જણાવ્યું હતું કે મૃતક પિંકેશ રમેશભાઈ નવસારીવાળા માત્ર 33 વર્ષના હતા. નાનપુરા ખંડેરાવપુરામાં રહેતા હતા. રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ઘટના મધરાત્રીના 2 વાગ્યા ની હતી. અઠવાગેટ મટકા ચા ઉપર કેટલાક ઈસમોએ જીવલેણ હુમલો કરી પિંકેશને દોડાવી દોડાવી ને પતાવી દીધો હતો. હત્યા બાદ હત્યારાઓ છરો રોડ ઉપર જ ફેંકીને ભાગી ગયા હતા. હત્યારાઓ મોંઘી કારમાં આવ્યા હતા.