બોટાદ: લગ્નનો ચાંદલો લઈને જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત; બોલેરો પલટી જતાં એકનું મોત, 10 ઘાયલ

Botad Accident: જામનગરમાં સિક્કા-સરમત વિસ્તારમાં રહેતો એક પરિવાર બોલેરોમાં લગ્નનો ચાંદલો લઈને બોટાદ જઈ રહ્યો હતો, દરમિયાન વહેલી સવારે ફલ્લાની ગોલાઈ(Botad Accident) પાસે અકસ્માત નડ્યો હતો અને બોલેરો પલટી મારી જતા તેમાં બેઠેલા 11 વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી. જે પૈકી 1 જાનૈયાનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસ વધુ તપાસ શરૂ કરી હતી.

50 વર્ષના આધેડનું મોત
આ અંગે મળતી માહિતી મુજબ, જામનગર તાલુકાના સિક્કા-સરમત ગામના એક પરિવારના અને કુટુંબીજનોના અન્ય 11 જેટલા સભ્યો ગઈકાલે એક બોલેરોમાં બેસીને બોટાદ તરફ લગ્નનો ચાંદલો લઈને બોટાદ જઈ રહ્યા હતા. તે દરમિયાન જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લાની જોખમી ગોલાઈ પાસે વહેલી સવારે 5.30 વાગ્યાના અરસામાં બોલેરો પલટી મારી ગઈ હતી. ત્યારે અકસ્માતમાં બોલેરોની અંદર બેઠેલા જાનૈયાઓએ ભારે ચીસાચીસ કરી મૂકી હતી. જેમાં માલાભાઈ પરમાર નામના 50 વર્ષના એક આઘેડનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

અનેક લોકોને પહોંચી ઇજા
આ ઉપરાંત બોલેરામાં બેઠેલા નાનજીભાઈ નારાયણભાઈ, તેમજ દિનેશભાઈ પરમાર, મનોજભાઈ પરમાર, નારણભાઈ પરમાર વગેરેને નાની મોટી ઈજા થઈ હોવાથી જુદી જુદી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જે તમામની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝન ના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથધરી છે.

પરિવાર શોકમાં ગરકાવ
સિકકાના એક પરિવારની પુત્રીના લગ્ન બોટાદના ખસ ગામે નિર્ધારવામાં આવ્યા હતા.જે લગ્ન લખીને સોમવારે વહેલી સવારે પરિવાર લગ્ન લખીને વાહન મારફતે બોટાદ જવા માટે રવાના થયો હતો.જેમાં અગિયાર લોકો સવાર હતા.જે દરમિયાન બોલેરો જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લા ગામના બસ સ્ટેન્ડ પાસે પહોચતા જ કૂતરૂ આડુ ઉતરતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં એક દીકરીના મોટાબાપુએ જીવ ગુમાવ્યાનુ સામે આવ્યુ છે.જેના કારણે પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે.લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે.