કલાકો સુધી રાહ જોઈ પણ શબવાહિની આવી જ નહિ, છેવટે બાઈક પર રઝળતી હાલતમાં લઈ જવો પડ્યો મૃતદેહ

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના છત્તરપુર(Chhatarpur) જિલ્લા હોસ્પિટલમાં માનવતાને શર્મસાર કરી દે એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારજનોએ શબવાહિની માટે ડાયલ-100, સીએમએચઓથી લઈને CM હેલ્પલાઈન નંબર પર ફોન કરીને સતત આજીજી કરતા રહ્યા હતા, પરંતુ મૃતદેહને લેવા માટે શબવાહિની આવી જ નહોતી. ત્યાર બાદ નિરાશ થઈને તેઓ મૃતદેહને બાઇક પર લઇ જવા માટે 3 કલાક સુધી કોશિશ કરતા રહ્યા.

આ સમય દરમિયાન લોકો મદદ કરવાને બદલે વીડિયો બનાવતા રહ્યા. ઘણા પ્રયત્નો બાદ પણ મૃતદેહ લેવા માટે વાહન ન મળતાં સ્વજનોએ મૃતકને બાઇક દ્વારા લઇ જવાનો પ્રયાસ કર્યો હતો, જેને જોઇને ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે માનવતા દાખવી મૃતદેહને વિનામૂલ્યે ઘરે પહોચાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, છતરપુર જિલ્લા હોસ્પિટલમાં બમિથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ નગર કોલોનીમાં રહેતા 20 વર્ષીય શંકર લાલ રકવારને ગુરુવારે બપોરે 2:00 વાગ્યે તેના ભાઈએ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આશરે 6.05 વાગે યુવકનું મોત નીપજ્યું હતું.

11 વાગ્યા સુધી મૃતદેહ ન મળતાં મૃતકના સ્વજનોએ બાઇક પર હાથ બાંધી મૃતદેહને લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શરીર જકડાઈ ગયું હતું. મૃતદેહને લગભગ 5 કલાક સુધી જિલ્લા હોસ્પિટલના ગેટ પર રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. લોકો મૃતદેહનો વીડિયો બનાવતા રહ્યા પરંતુ મદદ માટે આગળ ન આવ્યા.

આ ઘટનાની જાણ ખાનગી એમ્બ્યુલન્સના ચાલક નઈમ ખાનને થતાં તેમણે માનવતા દાખવી વિનામૂલ્યે એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને ઘર સુધી પહોંચાડ્યો હતો. પરિવારના કહેવા પ્રમાણે, તેમની આર્થિક સ્થિતિ સારી નથી, તેઓ ન તો ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે તેમ છે કે ન તો તેમની પાસે ખાનગી વાહનમાં મૃતદેહને ઘરે લઈ જવાના પૈસા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *