સુરતમાં સિટી બસના ડ્રાઈવરો પગાર વધારવાની માંગને લઈને હડતાળ પર- 70 બસના પૈંડા થંભ્યા, મુસાફરોની વધી મુશ્કેલી

City bus Drivers Strike: સુરત શહેરમાં પબ્લીક ટ્રાન્સપોર્ટેશન તંત્ર માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે.કતારગામમાં થયેલા અકસ્માત બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી…

City bus Drivers Strike: સુરત શહેરમાં પબ્લીક ટ્રાન્સપોર્ટેશન તંત્ર માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે.કતારગામમાં થયેલા અકસ્માત બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેથી પાલિકા સંચાલિત સિટી બસના ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. જેથી આજે સવારે ભેસ્તાન ખાતે સુરતની સિટી બસના ડ્રાઈવરો હડતાળ (City bus Drivers Strike) પર ઉતર્યા હતા. જેના લીધે એક સાથે 70 જેટલી બસના પૈંડા થંભી ગયા હતા. પરિણામે રોજ અપડાઉન કરતા અનેક મુસાફરો હેરાન થયા હતા.

અકસ્માતની ઘટના બાદ સફાળું તંત્ર જાગ્યું
સુરત મહાનગર પાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. છેલ્લા આઠ વર્ષથી સિટિલિંકની સેવા ફાળવવામાં આવે છે જેના માટે તંત્ર દ્વારા બીઆરટીએસ અને સિટી બસ દોડાવવા માટે અલગ રૂટ બનાવાયો છે. તેમ છતાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ગયા અઠવાડિયે કતારગામમાં બે બસ વચ્ચે વાહનો કચડાઈ ગયા હતા. તે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત થયું હતું. અનેક ઘાયલ થયા હતા.ત્યારબાદ આ સુરત મનપાનું તંત્ર સફાળું જાગ્યું હતું અને બસની એજન્સીઓ પર દબાણ ઉભું કર્યું હતું.

ઝીરો એક્સિડેન્ટ પોલિસી અમલમાં મુકી નિયમો કડક કર્યા હતા. ડ્રાઈવરો અંગેના નિયમો કડક કરાયા હતા અને ડ્રાઈવરોને નજીકના પોલીસ સ્ટેશનમાં ઓળખ પત્ર રજૂ કરવા ફરજ પડાઈ હતી.જેમાં અમુક નિયમો આવા પણ હતા કે જો અકસ્માતની કોઈ ગંભીર ઘટના બનશે તો તેને વળતર આપવાની જવાબદારી જે તે ડ્રાયવરની રહેશે.તો આ નિર્ણયથી રોષે ભરાયેલા ડ્રાયવરો હડતાલ પર ઉતર્યા હતા.ડ્રાઈવરોએ બસ રસ્તા પર પાર્ક કરી દીધી હતી. જેને કારણે 70 જેટલી સીટી બસો અટકી ગઈ હતી.

અકસ્માતમાં ડ્રાઈવરોનો કોઈ વાંક નથી,પગાર વધારો
સિટી બસના ડ્રાઈવર મોહમ્મદ આરીફે કહ્યું કે, પગાર ખૂબ જ ઓછો મળે છે. 8 કલાકના 22 હજાર મળે તો ડ્રાઈવરો કામ કરશે. આરીફે વધુમાં કહ્યું કે, અકસ્માત માટે દોષનો ટોપલો ડ્રાઈવરો પર ઢોળી દેવાય તે ખોટી વાત છે. ઘણી વાર અન્ય વાહનચાલકોનો પણ દોષ હોય છે. તેમ છતાં દરેક અકસ્માતમાં બસના ડ્રાઈવરોને જ દોષી ઠેરવવામાં આવે છે.આરીફે વધુમાં કહ્યું કે, અકસ્માતના સંજોગોમાં નુકસાનીનો ખર્ચ ડ્રાઈવરો પાસે વસૂલાત કરાશે એવું તંત્ર દ્વારા નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ નિયમ ખોટો છે. ડ્રાઈવરોનો પગાર એટલો બધો હોતો નથી કે તેઓ આ ભાર સહન કરી શકે. તંત્ર દ્વારા નક્કી કરાયેલો યોગ્ય પગાર આપવામાં આવે તેમજ સુરક્ષા બક્ષવામાં આવે તેવી અમારી માંગણી છે.

ડ્રાઈવરોની સમસ્યાને ધ્યાનમાં લઈશું: દક્ષેશ માવાણી, મેયર
દરમિયાન બસ હડતાળ મામલે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, ડ્રાઈવરોની સમસ્યા અંગે યોગ્ય કાર્યવાહી કરાશે. જો કોઈ કોન્ટ્રાક્ટર ડ્રાઈવરોનું શોષણ કરતા હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે. કોઈને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *