ધોલેરા-ભીમાનાથ 23.33 કિલોમિટર નવી બ્રોડગેજ રેલ્વે લાઇન પ્રોજેક્ટ માટે 466 કરોડની ફાળવણી કેન્દ્ર સરકારે કરી

Dholera Railway Line Project: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર દ્વારા ધોલેરા-ભીમાનાથ (લોજિસ્ટીક હબ) નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે રૂપિયા 466 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.ધોલેરા-ભીમાનાથ (લોજિસ્ટીક હબ) નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટને(Dholera Railway Line Project) આપવામાં આવેલી મંજૂરી માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડાપ્રધાન મોદી તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો હૃદય પૂર્વક અભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

ધોલેરાને સીધી રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે
ધોલેરા ભીમાનાથ વચ્ચે 23.33 કિલોમીટરની આ નવી બ્રોડગેજ રેલવે લાઇનના પરિણામે ધોલેરાને સીધી રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. આ સાથે સાથે દિલ્હી – મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ ફ્રેટ કોરિડોર સાથે ધોલેરાને કનેક્ટિવિટી સુલભ થશે. ધોલેરા-ભીમાનાથ (લોજિસ્ટીક હબ) નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ પૂર્ણ થતા ભવિષ્યમાં ધોલેરા SIRના ઉદ્યોગો માટે ફિનિશ્ડ પ્રોડક્ટ્સ અને રો-મટિરિયલના આવાગમન માટે પણ ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.

ધોલેરા SIR, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આશરે 920 ચોરસ કિલોમીટરનો ધોલેરા SIR ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ રિજિયન અને સ્માર્ટ સિટી છે.

આગામી થોડા વર્ષોમાં ધોલેરા SIR, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવશે, ત્યારે આ બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ પણ તેમાં મહત્વપૂર્ણ બની રહેશે.

અત્રે નોંધનીય બાબત છે કે, ધોલેરા SIR એ ઇન્ટરનેશલલ એરપોર્ટ, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે અને હવે આ ધોલેરા-ભીમાનાથ નવી બ્રોડગેજ રેલવે લાઇન સહિતની સંપૂર્ણ કનેક્ટિવીટી સાથે DMIC નો નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતો અભિન્ન હિસ્સો બનશે.