માતેલા સાંઢની જેમ આવતા ડમ્પરે રીક્ષાને ટક્કર મારતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત: 5 લોકોનું ઉડી ગયું પ્રાણ પંખીડું, ત્રણ ઘાયલ

Chitrakoot Accident: ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં એક પુરપાટ આવતા ડમ્પરે મુસાફરોથી ભરેલી ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ઓટોમાં મુસાફરી કરી રહેલા 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.તો બીજી તરફ આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ત્યારે આ અકસ્માત સર્જાતા લોકોના(Chitrakoot Accident) ટોળેટોળા જોવા મળ્યા હતા જેના પગલે રસ્તા પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

5 લોકોના કમકમાટીભર્યા મોત
મળતી માહિતી મુજબ, શહેરના કોતવાલી વિસ્તારના અમનપુર વિસ્તાર પાસે એક પુરપાટ ઝડપે આવતા ડમ્પરે ઓટો રીક્ષાને ટક્કર મારી હતી. અકસ્માત થયો ત્યારે ઓટોમાં 8 મુસાફરો સવાર હતા.જે બાદ આ અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.જિલ્લા હોસ્પિટલના સીએમએસ ડૉ આરબી લાલે જણાવ્યું કે જિલ્લા હોસ્પિટલમાં આઠ લોકોને લાવવામાં આવ્યા હતા,જેમાંથી પાંચના મોત થયા છે. તેમણે જણાવ્યું કે અન્ય ત્રણ ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે. તેમના મતે મૃત્યુઆંક પણ વધી શકે છે. ત્રણેય ઘાયલોને પ્રયાગરાજ રીફર કરવામાં આવ્યા છે.

ત્રણ મૃતકોની થઈ ઓળખ
માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો લઈને તેને મોર્ચરી હાઉસ મોકલી દીધો અને તેની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ઓળખ કરી છે, જેમાં અખિલેશ નામનો વ્યક્તિ કન્નૌજ જિલ્લાનો રહેવાસી હોવાનું કહેવાય છે અને બીજી મૃતક નિધિ હમરીપુર જિલ્લાની રહેવાસી હોવાનું કહેવાય છે અને ત્રીજો મૃતક અનિરુદ્ધ છે, જે અહીંનો રહેવાસી છે,હાલમાં વધુ બે મૃતકોની ઓળખ થઈ નથી.

અકસ્માત બાદ રસ્તા પર મરણચીસો ગુંજી
ઘટના બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો, આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જે બાદ ઘાયલોને તાત્કાલિક નજીકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મૃતકના પરિવારમાં આક્રન્દ છવાયો
પોલીસે અકસ્માત અંગે મૃતકના પરિજનોને જાણ કરી હતી. આ અંગેની માહિતી મળતા પરિવારજનોમાં આક્રન્દ છવાયો હતો.પરિવારના સભ્યો ચિત્રકૂટ જવા રવાના થયા હતા. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. ઘટનાને પગલે રોડ પર જામ સર્જાયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવીને ટ્રાફિક જામ હટાવ્યો હતો.