રેઢિયાળ સરકારી તંત્રને ખેડૂતોએ બતાવ્યો પરચો- સચિવાલયમાંથી કોમ્પ્યુટરથી લઈને ખુરશી સહિત બધું ઉપાડી ગયા

હેરાન થઈ રહેલા ખેડૂતોએ હાલ રેઢિયાળ સરકારી તંત્ર (Government system)ને પોતાનો પરચો બતાવ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગર(Gandhinagar) ખાતે સચિવાલયમાં શનિવારે સાંજે ચારેક વાગ્યાની આસપાસ સરદાર…

હેરાન થઈ રહેલા ખેડૂતોએ હાલ રેઢિયાળ સરકારી તંત્ર (Government system)ને પોતાનો પરચો બતાવ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગર(Gandhinagar) ખાતે સચિવાલયમાં શનિવારે સાંજે ચારેક વાગ્યાની આસપાસ સરદાર સરોવર નર્મદા નિગમની કચેરીમાં એકાએક દોડધામ મચી ગઈ હતી. જાણવા મળ્યું છે કે, સરદાર સરોવર નિગમના પાંચમા માળે આવેલી લેન્ડ શાખામાં આવેલા કેટલાક ખેડૂતો શાખામાં રહેલી જંગમ મિલકત જેવી કે ખુરશી, કોમ્પ્યુટર, મોનિટર, પ્રિન્ટર, સીપીયુ સહિતની મત્તા ઉઠાવીને લઈ ગયા હતા.


સમાન લઈ જઈ રહેલા ખેડૂતોને કચેરી કર્મચારીઓએ પૂછ્યું કે, કેમ સામાન લઈ જાઓ છો? આ દરમિયાન ખેડૂતોએ જણાવ્યું કે, અમારું વળતર આપવામાં આવ્યું નથી, એટલે કોર્ટે સામાન જપ્ત કરવા માટે હુકમ કર્યો છે. આ વાત સાંભળતાં જ સરદાર સરોવર નિગમ સહિત સચિવાલયમાં વાયુવેગે વાત પ્રસરતાં દોડધામ મચી ગઈ હતી.

શું છે સમગ્ર કિસ્સો?
મળતી માહિતી અનુસાર, વર્ષ 1987માં વડોદરાના પાદરા તાલુકાના અભોળ ગામના ખેડૂતોએ પોતાની જમીન સંપાદિત કરવા માટે મંજૂરી આપી હતી. તે સમયે સરદાર સરોવર નર્મદા નિગમ તથા જમીન સંપાદન ખાતા દ્વારા અભોળ ગામના લોકોની જમીન સંપાદિત કરી નર્મદા કેનાલ બનાવવાનું આયોજન હતું. જમીન સંપાદિત કરી અને કેનાલ બનાવ્યા બાદ સરકાર દ્વારા આ ખેડૂતોને વર્ષ 1990ની 25 જુલાઈ અને 30 જુલાઈના રોજ વળતર ચૂકવવા માટે હુકમ બહાર પાડવામાં આવ્યા હતા.

આ હુકમમાં પ્રતિ આરે પિયત જમીનના રૂપિયા 225 અને બિનપિયત જમીનના પ્રતિ આરે રૂપિયા 150 આપવાનું નક્કી કરાયું હતું. જોકે અપૂરતી વળતર રકમ હોવાને કારણે ગામના ખેડૂતો દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સરકાર દ્વારા સંપાદિત જમીનનું નજીવું વળતર ચૂકવવાનો મુદ્દો રજૂ કરાયો હતો.

વળતરની રકમ વધારે લાગતાં કોર્ટના હુકમને સરદાર સરોવર નિગમે હાઈકોર્ટમાં પડકાર્યો:
આ કેસ અંગે સુનાવણીમાં કોર્ટ દ્વારા 5-5-2001ના રોજ અંતિમ ઓર્ડર કરવામાં આવ્યો હતો, જેમાં પ્રતિ વારે 225 રૂપિયાને બદલે 1725 રૂપિયા પિયત જમીનના, જ્યારે બિનપિયત જમીનના 1300 રૂપિયા નક્કી કરીને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો. હુકમનાં બે વર્ષ બાદ, એટલે કે વર્ષ 2003માં સરદાર સરોવર નિગમને વળતરની રકમ વધારે હોવાનું જણાવી હાઇકોર્ટમાં અપીલ કરીને વળતરની રકમ વધારે હોવાનું ઠેરવી કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો.

પડકારેલા કેસમાં હાઈકોર્ટે વળતરની રકમમાં 100 રૂપિયા ઘટાડ્યા:
ત્યારપછી હાઈકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ અપીલમાં તારીખ 23-6-2003ના રોજ હાઇકોર્ટે હુકમ કરતાં કહ્યું હતું કે, પિયત જમીનનું વળતર રૂપિયા 1625 ચૂકવવું. આમ, નીચલી કોર્ટે આપેલા વળતર હુકમમાં રૂપિયા 100નો ઘટાડો કરી અન્ય હુકમ વડોદરા કોર્ટે આપ્યા મુજબ જ રાખ્યો હતો. આ પછી હાઇકોર્ટના હુકમ છતાં પણ મૂળ 225 રૂપિયા વળતરની ચુકવણી જ બાકી રાખી હતી.

બાકી 225 રૂપિયાની મૂળ રકમ અંગે વડોદરા કોર્ટમાં દરખાસ્ત કરાઈ:
આટલી ચુકવણીથી અમુક ખેડૂતોએ સમાધાન કરી કેસ પાછો કેંચી લીધો હતો, પરંતુ હજુ પણ 27 જેટલા ખેડૂતો એવા હતા કે જેમણે બાકી રહેલી રૂપિયા 225ની રકમ અંગે વડોદરા કોર્ટમાં ફરીથી દરખાસ્ત કરી હતી, જેની સુનાવણી દરમિયાન વર્ષ 2019ના ઓક્ટોબર માસમાં કોર્ટે ગાંધીનગર સ્થિત સરદાર સરોવર નિગમની જમીન શાખાની જંગમ મિલકત જપ્ત કરવા વોરંટ ઈસ્યુ કર્યો હતો.

આ વોરંટને આધારે ખેડૂતો તારીખ 20 જાન્યુઆરી, 2020ના રોજ નિગમ કચેરીએ પહોંચ્યા, પરંતુ તત્કાલીન જનરલ મેનેજર વી. કે. અજમેરાએ 10 દિવસની અંદર જ તમામ વળતર રકમ ચૂકવી દેવાશે એવી લેખિત બાંયધરી આપતાં તમામ ખેડૂતો પરત ફર્યા હતા.

કોર્ટના હુકમ સામે વાંધો ઉઠાવી સરદાર સરોવર નિગમે રિવ્યૂ પિટિશન દાખલ કરી:
કોર્ટ દ્વારા આપવામાં આવેલ ખેડૂતોની 10 દિવસની મુદતનો સરકારી અધિકારીઓએ દુરુપયોગ કર્યો હતો. એની મુદત અગાઉ કોર્ટના હુકમમાં વાંધો હોવાનું બહાનું રજૂ કરીને હુકમ પર સ્ટે લાવવા માટે વડોદરા કોર્ટમાં રિવ્યૂ અરજી કરી હતી. આ પછી 30 દિવસ બાદ કોર્ટ દ્વારા આ અન્વયે સુનાવણી હાથ ધરી અને રિવ્યૂ પિટિશન નામંજૂર કરી હુકમ યથાવત્ રાખવા સૂચના આપી હતી.

વડોદરા કોર્ટ દ્વારા અપાયેલી સૂચના બાદ અરજદારોએ કોર્ટ સમક્ષ પોતાનો મત રજૂ કર્યો હતો કે, અગાઉ અપાયેલો જપ્તી વોરંટ અમલમાં જ છે તો એ હુકમ તેમને ફરીથી આપવામાં આવે, જેથી એ જ અરજીના આધારે ગત રોજ વડોદરા પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટ દ્વારા હુકમ બજવણી કરીને સ્થાવર મિલકત જપ્ત કરવા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યો છે. જેના આધારે ખેડૂતો ખુરશી, કોમ્પ્યુટર સહિત બધું ઉપાડી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *