ફેક્ટ ચેકઃ રામને માંસાહારી કહેવા બદલ જીતેન્દ્ર આવ્હાડને મારવામાં આવ્યો ન હતો, ખોટા દાવા સાથે વીડિયો થયો વાયરલ

Jitendra Awad fact check: ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યુગમાં દરરોજ અસંખ્ય ભ્રામક સમાચાર કે વીડિયો વાયરલ થાય છે. આ સમાચાર કોઈપણ નેતા અથવા સામાન્ય માણસના સંદર્ભમાં વાયરલ થતા હોઈ છે.ત્યારે ઘણા લોકો સરળતાથી આ ખોટા સમાચારોનો ભોગ બને છે અને તેમને સાચા માનીને આગળ શેર કરવાનું શરૂ કરે છે.ત્યારે આજે એક વીડિયોને ફેક્ટ ચેક કરવામાં આવ્યો હતો. ફેક ન્યૂઝનો તાજો મામલો શરદ પવારના NCP નેતા જિતેન્દ્ર આવ્હાડ( Jitendra Awad fact check ) સાથે સંબંધિત છે. આવ્હાદનો એક વીડિયો વાયરલ થયો હતો.જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન રામને માંસાહારી કહેવા માટે આવ્હાડને માર મારવામાં આવ્યો હતો.તો આવો આપણે જાણીએ કે હકીકત શું છે?

દાવો શું થઈ રહ્યો છે?
હકીકતમાં, NCP શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે તાજેતરમાં જ શ્રી રામને માંસાહારી કહ્યા હતા. આ નિવેદન બાદ પોલીસમાં ફરિયાદો તેમજ ટીકા કરવામાં આવી હતી. આ પછી આવ્હાડે માફી માંગી હતી. જો કે, હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મામલામાં જીતેન્દ્ર આવ્હાડને તેમના જ કાર્યકરોએ માર માર્યો છે. ફેસબુક પર આ વીડિયો શેર કરતી વખતે શ્યામ કિશોર નામના યુઝરે લખ્યું- “મહારાષ્ટ્રના એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડને શ્રી રામજીનું અપશબ્દો બોલવા બદલ તેમના જ કાર્યકરોએ ખરાબ રીતે માર માર્યો હતો.તેમજ આ ખૂબ જ સારી શરૂઆત થઈ છે, રામ વિરુદ્ધ રાવણનો પરાજયની પરંપરા ચાલુ રહેવી જોઈએ. રામ ભક્તોનો આભાર, જય જય શ્રી રામ.”

આ વીડિયોની તપાસ કરવામાં આવી
છેલ્લા કેટલાક દિવસોથી જિતેન્દ્ર આવ્હાડ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો ગરમાયો છે. આવી સ્થિતિમાં આવ્હાદને માર મારવાના વીડિયોની તપાસ કરી હતી. સૌથી પહેલા ગુગલમાં જીતેન્દ્ર આવ્હાડ પર થયેલા હુમલા વિશે સર્ચ કર્યું. જો કે, તેમાં ક્યાંય એવા કોઈ સમાચાર મળ્યા નથી જેમાં શ્રી રામ પરના વિવાદાસ્પદ નિવેદનને લઈને જીતેન્દ્ર આવ્હાડ પર હુમલાનો ઉલ્લેખ હોય. આ પછી યુટ્યુબમાં સર્ચ કરવામાં આવ્યું અને સંબંધિત કીવર્ડ્સ દ્વારા આવ્હાદની મારપીટનો વીડિયો સર્ચ કર્યો.જે બાદ 2015નો એક વીડિયો જોવા મળ્યો. આ વીડિયો વાયરલ વીડિયો સાથે મેળ ખાતો હતો. વધુ તપાસ કરવા પર જાણવા મળ્યું કે આ મામલો વર્ષ 2015નો છે જ્યારે જીતેન્દ્ર આવ્હાડે લેખક અને ઈતિહાસકાર બાબા સાહેબ પુરંદરેને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપવાનો વિરોધ કર્યો હતો. આનાથી નારાજ કેટલાક લોકો સ્ટેજ પર ચઢી ગયા હતા અને તેમના પર હુમલો કર્યો હતો.

હકીકત તપાસમાં શું બહાર આવ્યું?
શ્રી રામને માંસાહારી કહેવા બદલ NCP નેતા જિતેન્દ્ર આવ્હાડને માર મારવાનો દાવો ખોટો છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો 8 વર્ષ પહેલાનો છે જ્યારે આવ્હાદ પર કોઈ અન્ય કેસમાં હુમલો કરવામાં આવ્યો હતો. તેથી, વપરાશકર્તાઓને આ ખોટા દાવાથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.