ગુજરાતના ખેડૂતો ના દેવા માફી માટેનું બિલ ‘ગરીબ’ ધારાસભ્યોએ બહુમતીથી નામંજુર કર્યું

થોડા સમય અગાઉ ગુજરાત વિધાનસભામાં વિધાન સભાના સભ્યો એટલે કે ધારાસભ્યોએ પોતાના પગાર વધારાના બિલને સર્વાનુમતિ થી મંજૂર કર્યું હતું અને પોતે મોંઘવારી હેઠળ જીવી…

થોડા સમય અગાઉ ગુજરાત વિધાનસભામાં વિધાન સભાના સભ્યો એટલે કે ધારાસભ્યોએ પોતાના પગાર વધારાના બિલને સર્વાનુમતિ થી મંજૂર કર્યું હતું અને પોતે મોંઘવારી હેઠળ જીવી રહ્યા છે અને તેમને વધુ પગારની જરૂર છે તેવું સાબિત કર્યું હતું અને પગાર વધારો લીધો હતો. પરંતુ ગુજરાતના ખેડૂતોના દેવા માફી ની વાત આવી ત્યારે આ ધારાસભ્યોમાં પક્ષાપક્ષી આવી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. કોંગ્રેસના ખેડૂત ધારાસભ્ય હર્ષદ રિબડીયા એ રજૂ કરેલા ખાનગી બિલને ભાજપના ધારાસભ્યોએ બહુમતીના જોરે નામંજૂર કરી દીધું હતું.

ગુજરાતની પ્રજા ભાજપ-કોંગ્રેસમાં બટાઈ ગઈ છે. જ્યારે વિધાનસભામાં બેસતા ગરીબડા ચુંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણી જીતીને પોતાના લાભો માટે ભેગા થઇ જતા હોય છે અને પ્રજાના હિતની વાતોમાં પણ ઘણીવાર ભેગા થતા હોતા નથી. આવું જ ગઇકાલે જોવા મળ્યો જ્યારે કોંગ્રેસના ધારાસભ્યએ ખેડૂતોના દેવા માફી માટે નું ખાનગી બિલ રજુ કર્યું.

આ બિલ ની ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા કે, કોંગ્રેસની પાપી અને શોષણખોર સરકારે ખેડૂતો પાસેથી 18 ટકા વ્યાજ લઈને તેમનું શોષણ કર્યું હતું. જ્યારે આ વાતનો વિરોધ કરતાં કોંગ્રેસી ધારાસભ્યો ઉભા થઈને નારેબાજી કરવા લાગ્યા હતા.

ત્યારબાદ આ બિલ રજૂ કરતા હર્ષદ રીબડીયા એ વિધાનસભા અધ્યક્ષ અને અલગ-અલગ દલીલો કરી હતી અને ખંભાળિયાના કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું હતું કે, ભાજપની સરકાર ૨૪ વર્ષે શાસન સંભાળી રહી છે અને ગુજરાતનો ખેડૂત દેવાદાર બનતો રહ્યો છે. તે ખૂબ કમનસીબ બાબત છે. ભાજપ સરકાર આવ્યા બાદ ખેડૂતોને ટેકાના ભાવ પણ પૂરતા મળતા નથી. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે માલ પણ ખરીદવામાં આવતો નથી પોષણક્ષમ ભાવ આપવાની વાત તો દુર પણ ખેતીના ઉપકરણો અને ખાતર બિયારણ પર પણ જીએસટી નાખીને ભાવ વધારી દેવામાં આવ્યો છે. ખેડૂતોને પાણી ની સુવિધા પણ હજી સુધી મળી નથી.

આ વિધેયક નો જવાબ આપતા નાણામંત્રી નીતિન પટેલે કહ્યું કે યુપીએ સરકારે 72 હજાર કરોડના દેવાની માફી આપી હોવા છતાં આજે ખેડૂતો દેવાદાર છે. યુપીએ સરકારે દેવામાફી ની જાહેરાત કર્યા પછી યોગ્ય કાર્યવાહી કરી ન હોવાથી આજે પણ ખેડૂતો દેવાદાર જ છે.

આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે એક વાત સમાન હતી કે ગુજરાતના ખેડૂતો દેવાદાર છે, તે બંને પક્ષો સ્વીકારી રહ્યા છે. પરંતુ આ દેવું કેવી રીતે ઓછું થાય અથવા પૂર્ણ થાય તે બાબતે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી. ચર્ચા પૂર્ણ થયા બાદ આ બિલ હર્ષદ રીબડીયા એ પાછું નહીં ખેંચતા હાજર ધારાસભ્યોનો મત માંગવાનો સમય આવ્યો ત્યારે વિધાનસભામાં ભાજપની બહુમતિ હોવાથી સર્વાનુમતે નામંજૂર કરી દેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *