શ્રદ્ધાળુઓને હવે કૈલાસ માનસરોવર દર્શન કરવા જવુ મુશ્કેલ નહી બને, 38 ભારતીયોને લઇ ફ્લાઇટ પહોંચી કૈલાશ માનસરોવર

Kailas Mansarovar: નેપાળથી ફ્લાઇટ ઉપડી અને કૈલાશ માનસરોવરની યાત્રા કરી અને ભક્તોને પવિત્ર પર્વતના દર્શન કરાવ્યા. અહેવાલો અનુસાર, 38 ભારતીયો સાથેની ચાર્ટર્ડ ફ્લાઇટ સોમવારે નેપાળગંજથી કૈલાશ માનસરોવર માટે ઉડાન ભરી હતી, અને તે આવી પ્રથમ પર્વતીય ઉડાન હતી. કૈલાશ-માનસરોવર(Kailas Mansarovar) દર્શન ઉડાન નામની આ એરલાઇન તીર્થસ્થળ કૈલાશ પર્વત અને માનસરોવર તળાવનો આકર્ષક નજારો આપે છે. ફ્લાઈટમાં હાજર મુસાફરોએ 27 હજાર ફૂટની ઊંચાઈથી કૈલાસ પર્વતનો નજારો જોયો હતો.

આગામી ચાર્ટર્ડ ફ્લાઇટ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હશે
તમને જણાવી દઈએ કે આ સેવા સિદ્ધાર્થ બિઝનેસ ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ પ્રવાસ વિશે માહિતી આપતાં કંપનીના પ્રાદેશિક નિર્દેશક કેશવ ન્યુપાનેએ જણાવ્યું હતું કે, ’38 ભારતીય પ્રવાસીઓ સાથે શ્રી એરલાઇન્સના આ ચાર્ટર્ડ એરક્રાફ્ટને પ્રવાસ પૂર્ણ કરવામાં લગભગ દોઢ કલાકનો સમય લાગ્યો હતો.’

આ પ્રથમ ફ્લાઇટમાં દિલ્હી, મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી ઘણા પ્રવાસીઓ આવ્યા હતા. ન્યુપેને કહ્યું, ‘કૈલાશ પર્વત અને માનસરોવરની આ ફ્લાઇટ સસ્તી, ઝડપી, ભરોસાપાત્ર અને સલામત છે. આગામી ચાર્ટર્ડ ફ્લાઇટ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હશે.

હવે ભક્તોને કાઠમંડુ જવાની જરૂર નથી
કોવિડને કારણે ચીને ભારતીય તીર્થયાત્રીઓને કૈલાશ માનસરોવરની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ નેપાળની આ ફ્લાઇટ સેવાએ નવી આશાઓ જન્માવી છે. કોવિડ રોગચાળા પહેલા, લગભગ 12 હજાર શ્રદ્ધાળુઓ દર વર્ષે નેપાળ થઈને કૈલાશ માનસરોવરની મુલાકાત લેતા હતા.

નેપાળ થઈને કૈલાશ માનસરોવરની યાત્રા પર જતા તીર્થયાત્રીઓએ પહેલા કાઠમંડુ જવાનું હોય છે, પરંતુ જો તેઓ આ ફ્લાઈટ પસંદ કરે તો તેમને નેપાળની રાજધાની જવાની જરૂર નહીં પડે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી નેપાળગંજનું અંતર ભાગ્યે જ 200 કિલોમીટર છે અને ત્યાં સડક માર્ગે પણ પહોંચી શકાય છે.