ગુજરાતના મેડિકલ શિક્ષકોની દિવાળી સુધરી: સરકારે કરી પગાર વધારાની જાહેરાત, જાણો વિગતે

Gujarat Government News: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્વના નિર્ણય સંદર્ભે જાહેરાત કરતા જણાવ્યું‌‌ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત 11 માસના કરાર આધારિત (Gujarat Government News) તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30 થી 55% સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી જાહેરાત
સરકારી મેડિકલ કોલેજના તબીબી શિક્ષકોના વેતનમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. સરકારે તબીબી શિક્ષકોના વેતનમાં 30 ટકાથી લઈને 55 ટકા સુધીનો વધારો કર્યો છે. આ અંગેની જાહેરાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી છે. મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ અંગે જાહેરાત કરી છે.

પ્રોફેસર વર્ગ-1ના કર્મચારીને હવેથી માસિક વેતન 2,50,000 ચૂકવાશે
ઉલ્લેખનીય છે કે વર્ગ-1 અને વર્ગ-2ના તબીબી શિક્ષકોને આ વેતન વધારાનો લાભ મળશે અને તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30થી 55 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં પ્રોફેસર વર્ગ-1ના કર્મચારીને માસિક 1,84,000 ચૂકવવામાં આવતા હતા, જેમાં વધારો કરતા હવેથી માસિક વેતન 2,50,000 કરવામાં આવ્યું છે.

મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1ને અગાઉ 89,400 રૂપિયા માસિક વેતન ચૂકવવામાં આવતુ
ત્યારે સહ પ્રાધ્યાપક વર્ગ-1ને 1,67,500 માસિક વેતન પહેલા ચૂકવવામાં આવતુ હતું, તેમને હવેથી માસિક 2,20,000 રૂપિયા વેતન ચૂકવવામાં આવશે. ત્યારે મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1ને અગાઉ 89,400 રૂપિયા માસિક વેતન ચૂકવવામાં આવતુ હતું, તેની જગ્યાએ હવેથી 1,38,000 વેતન ચૂકવવામાં આવશે.

મેડિકલ વિદ્યાર્થીને ગુણવતાયુક્ત શિક્ષણ મળે એ જ સરકારની પ્રાથમિકતા
ત્યારે ટ્યૂટર વર્ગ -2ના કર્મચારીના વેતનમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. તેમને પહેલા 69,300 વેતન ચૂકવાતુ હતુ, તેમને 1,05,000 માસિક વેતન ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના દરેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવતાયુક્ત શિક્ષણ મળે એ જ સરકારની પ્રાથમિકતા છે.

સરકારી કર્મચારીઓની સરકાર પાસે વધુ એક માગ
બીજી તરફ સરકારી કર્મચારીઓની સરકાર પાસે વધુ હજુ પણ વધુ એક માગ કરવામાં આવી રહી છે. દિવાળી પછી પડતર દિવસે રજા જાહેર કરવા માટે કર્મચારીઓ માગ કરી રહ્યા છે. દિવાળી પહેલા સરકારી કર્મચારીઓએ આ માગ કરી છે અને તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઈને કર્મચારી મહામંડળે પત્ર લખ્યો છે અને 1 નવેમ્બરે રજા જાહેર કરવા માટે માગણી કરી છે અને આ સાથે જ ઓક્ટોબર મહિનાનો પગાર વહેલો કરવા માટે પણ માગ કરી છે.