રડાવી દેતી સુસાઇડ નોટ લખી ગોંડલના યુવકે દુનિયાને કીધું અલવિદા- છેલ્લી બે ઈચ્છાઓ વાંચી રડી પડ્યો પરિવાર

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને આજનું યુવાધન નાની-નાની બાબતમાં પોતાના જીવન ટૂંકાવી દેતા હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે. ગોંડલ (Gondal)ના કમરકોટડા ગામે એક યુવાને કોમ્પિટિટિવ એક્ઝામ (Competitive Exam)માં વારંવાર નાપાસ થતાં ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

જાણવા મળ્યું છે કે, મૃતક જયેશ જીવરાજભાઈ સરવૈયાએ જીવન ટૂંકાવતાં પહેલાં અઢી પાનાંની ભાવુક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણે આપઘાતનું કારણ કોમ્પિટિટિવ એક્ઝામમાં સતત નાપાસ થવું, એક્ઝામના કોઈ ઠેકાણા ન હોવા, ચોક્કસ તારીખ ન હોવાથી ઊભા થયેલા ડિમોટિવેશનને ગણાવ્યું હતું.

“કોમ્પિટિટિવ એક્ઝામમાં નિષ્ફળતાએ તોડી નાખ્યો”
મળતી માહિતી અનુસાર, 23 વર્ષીય જયેશ 2019થી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યો હતો. જયેશે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, “મને ખબર છે મારી મારામાં એટલી તો હેસિયત છે કે હું ક્લાસ 3 એક્ઝામ કમ્પ્લીટ કરી શકું, પણ અત્યારે ડિમોટિવેટ ફિલ કરું છું. કારણ કે એક્ઝામના કોઇ ઠેકાણા નથી, ચોક્કસ તારીખ નથી, હવે હું મેન્ટલી થાકી ગયો છું. જીવનમાં આગળ શું કરવુ કંઇ નક્કી નથી કરી શકતો. સપના તો ઘણા હતા, સપના પાછળ મહેનત પણ કરી. મહેનત ઓછી પડી કદાચ..” બિનસચિવાલયની પરીક્ષા જયેશનું ડ્રીમ હતું જે અધૂરું રહ્યું. આ ઉપરાંત ફોરેસ્ટ, ક્લાર્ક, તલાટી, જુનિયર ક્લાર્કમાં નિષ્ફળતા મળતાં તે હતાશ થયો હતો. જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું.

“I am sorry પપ્પા, મમ્મી, બહેન, ભાઇ”
દોઢ પાનાની સુસાઇડ નોટમાં વધુમાં તેણે જણાવ્યું હતું કે, “મારી મુશ્કેલીઓમાંથી છુટવા તમારી સાથે ચીટ ના કરાય એટલે આટલા દિવસ સુધી જીવતો હતો, પણ હવે હું પૂરેપૂરો સ્વાર્થી થઈ ગયો છું. બધું તમારા પર છોડી હું જઈ રહ્યો છું. તમે 23 વર્ષનો કર્યો પણ હું ઋણ ચૂકવવા વગર જઈ રહ્યો છું, i am sorry. પણ હવે મારામાં જરાય ઈચ્છા નથી જીવવાની, સાવ થાકી ગયો છું. ફિઝિકલી શરીર પર ફોડલા પણ એટલા છે અને મેન્ટલી પણ હેરાન થઈ ગયો છું. હવે તો મને બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવી સહેલું અને ઠીક લાગે છે. મારા એકાઉન્ટમાં જે રૂપિયા છે તે બહેનના મેરેજમાં વાપરજો. એટલી ખુશી છે કે બે વર્ષ એપ્રેન્ટીસ કરીને ઘરમાં થોડી ઘણી મદદ કરી શક્યો, I am sorry પપ્પા, મમ્મી, બહેન, ભાઇ”.

“મારી આ બે ઈચ્છાઓ પૂરી કરજો”
મારતા પહેલા જયેશે પોતાની અંતિમ 2 ઇચ્છાઓ પણ લખી હતી. જેમાં (1) મારા અંગોનું દાન કરજો જેથી કોઈને નવું જીવન મળી શકે (2) મૃત્યુ પછી થતી બધી ક્રિયાઓને હું વ્યર્થ માનું છું તો મારી પાછળ કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં ન આવે અને તેના બદલે પચીસ-પચાસ વૃક્ષો વાવી દેજો. મારે વૃક્ષ વાવવાના હતા પણ નથી વાવી શક્યો, મારી આ બે ઇચ્છાઓ છે જે પૂરી કરજો.

“ભગતસિંહ કે ભગવાન મને માફ નહીં કરે”
વધુમાં તેણે લખ્યું હતું કે, ભગતસિંહ કે ભગવાન બંનેમાંથી તેને કોઇ માફ નહી કરે આમ કહીને તેણે જીવન ટુંકાવ્યું હતું. તેણે લખ્યું હતું કે “અફસોસ એ છે કે એક સમયે ભગતસિંહ 23 વર્ષની ઉંમરે દેશ માટે ફાંસી પર લટક્યા હતા અને હું મારી જિંદગીથી ભાગીને-કંટાળીને આ કરી રહ્યો છું, ભગતસિંહ કે ભગવાન કોઈ મને માફ નહીં કરે.” ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *