રાજય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય- લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે સહાય પેકેજનો સમયગાળો લંબાવ્યો

ગુજરાત રાજ્યમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કૃષિમંત્રી શ્રી રાધવજીભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યમાં લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરતા ખેડૂતોને પ્રતિ કિલો બે રૂપિયાની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો હતો. આ પેકેજનો વધુને વધુ ખેડૂતો લાભ લઈ શકે એ માટે પેકેજનો સમયગાળો લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું કે, આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તારીખ 14 ફેબ્રુઆરીથી 06  માર્ચ, 2023 સુધીના સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલી લાલ ડુંગળીનું એ.પી.એમ.સી. માં વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને જ આ લાભ મળવાપાત્ર રહેશે, તેમ જાહેર કરાયું હતું. આ બાબતે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા કરાયેલી માંગણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સમયગાળાની મર્યાદાને વધારીને હવે તારીખ 14-02-2023 થી તારીખ` 31-05-2023 સુધી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યુ કે, આ નિર્ણયના પરિણામે આ સમયગાળા દરમિયાન પોતાના ખેતરમાંથી ઉત્પાદિત થયેલી લાલ ડુંગળી ખેતરથી એ.પી.એમ.સી.માં જ વેચાણ કરી હોય તેવા અન્ય ખેડૂતોને પણ આવરી લેવામાં આવશે. નવા સમયગાળામાં આવરી લેવાયેલા ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર ઓનલાઇન અરજી કરી શકે તે માટે પોર્ટલ આગામી તા. ૨૬/૦૭/૨૦૨૩ સુધી ખુલ્લુ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *