ટીમ ઇન્ડિયાને લઇ માઠા સમાચાર- ઈંગ્લેન્ડ સામેની બાકીની ટેસ્ટમાં પણ નહીં રમે વિરાટ કોહલી, જાણો કારણ

Virat Kohli Out from test Series: પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. રિપોર્ટ અનુસાર, કિંગ કોહલીએ (Virat Kohli Out from test Series) ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. કોહલી અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટમાં પણ રમી શક્યો ન હતો.

મીડિયા રીપોર્ટના અહેવાલ અનુસાર, પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ શ્રેણીની છેલ્લી ત્રણ મેચોમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને BCCIને પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કોહલીએ શ્રેણીની શરૂઆતમાં કેપ્ટન રોહિત શર્મા સાથે વાત કરી હતી અને તેણે અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ ન રમવાનો નિર્ણય લીધો હતો.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે BCCIએ હજુ સુધી છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી, જ્યારે ત્રીજી ટેસ્ટ શરૂ થવામાં પાંચ દિવસથી પણ ઓછો સમય બાકી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોહલીના કારણે જ ટીમની જાહેરાત કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે કેપ્ટન રોહિત શર્મા કોહલીને કોઈપણ કિંમતે ટીમમાં ઈચ્છે છે, જ્યારે કોહલી તેની ઉપલબ્ધતા અંગે નિર્ણય નથી આપી રહ્યો અને તેથી જ ટીમની જાહેરાત થઈ રહી નથી.

હવે જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો કોહલીએ બોર્ડને પોતાના નિર્ણયની જાણકારી આપી દીધી છે. આવી સ્થિતિમાં પસંદગીકારો આજે જ છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. કોહલીની વાપસી ન થવાને કારણે સરફરાઝ ખાન અને રજત પાટીદાર જેવા યુવા ખેલાડીઓ ટીમમાં રહી શકે છે. જોકે, શ્રેયસ અય્યર આખી શ્રેણીમાંથી બહાર થઈ શકે છે.