દુખિયાના દુઃખ હરનારી માં કનકાઈનું અદ્દભૂત મંદિર, કંસને આકાશવાણી આપનાર આ માતાજી બિરાજમાન છે ગુજરાતમાં!

Kankai Mata Mandir: ધોધમાર વરસાદ પડે અને નદી-નાળાં છલકાય જાય, પહાડો લીલોતરીથી છવાઈ જાય અને ધરતી લીલી ચાદર ઓઢી લે પછી ગીરનું સૌંદર્ય કંઈક ઓર જ જામે છે! આ સૌંદર્યને નિહાળવું હોય તો ગીરમાં એકાદ આંટો દેવો જ પડે. આમ તો ગીરનું એક-એક ઝાડ કે એક-એક ટેકરી કુદરતના સાનિધ્યમાં હોવાનો અનુભવ કરાવે છે. પણ ગીરના જંગલોની બિલકુલ મધ્યમાં આવેલું આદ્યશક્તિ શ્રીકનકાઈ માતાજી( Kankai Mata Mandir )નું ‘ગીર-કનકાઈ’ મંદિર જંગલના કુદરતી સૌંદર્યને એટલું મનભરીને માણવાનું સ્થાન છે કે ન પૂછો વાત!

કનકાઈ માતાનું મંદિર ક્યા આવેલું છે ?
શ્રી કનકાઈ માતાજીનું આ મંદીર એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં જૂનાગઢ જિલ્લામાં મધ્યગિરમાં આવેલું છે. જે તુલસીશ્યામથી આશરે ૨૨ કિલોમીટર દુર જંગલ માર્ગે આવેલું છે.આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર છે. આમ કનકાઈથી સાસણ ૨૪, વિસાવદર ૩૨, અને અમરેલી ૭૫ કિલોમીટર દુર આવેલ છે.મધ્ય ગીર માં બિરાજતા મા કનકાઈ નું આ મંદિર 1475 વર્ષ પહેલાનું છે. જેનો ઉલ્લેખ સ્કંધ પુરાણના 9 માં અધ્યાયમાં જોવા મળે છે. જે મુજબ “કનક એટલે સોનુ. મા કનકાઈ સુવર્ણ જેવી કાંતિ ધરાવે છે.

કનકાઈ માતા મંદિરનો ઈતિહાસ
કહેવાય છે, કે વનરાજ ચાવડાના વંશજ કનક ચાવડાએ કનકાવતી નગરીની સ્થાપના કરેલી અને નગરીના અધિષ્ઠાત્રી તરીકે માતા કનકાઈને પૂજ્યાં હતાં. એક કથા એવી પણ છે, કે મૈત્રકવંશના રાજવી (જેનું કુળ અયોધ્યાના સૂર્યવંશીઓનું હતું) કનકસેને ગીરના જંગલની મધ્યમાં કનકાવતી નગરીની અને માતા કનકાઈના મંદિરની સ્થાપના કરેલી. હાલનું મંદિર આશરે 12મી સદી આસપાસનું હોવાનું જણાઈ આવે છે.બીજી એક લોકવાયકા એવી પણ છે કે, વળાના મૈત્રક વંશનાં મુળ પુરુષ કનકસેન અયોધ્યાનાં સુર્યવંશી રાજવી હતાં. તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો. અને વંશજ વિજયસેને વિજયપુર (ધોળકા) વસાવ્યું. વિજયસેનનાં વંશજ ભટ્ટાર્કે વલભીપુરની સ્થાપના કરી. અને કનકસેને મધ્યગિરમાં આવીને કનકાવતી નગરી વસાવી. આથી તેને શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે માં કનકાઈની સ્થાપના કરી હતી.

કંસને આકાશવાણી કરી ચેતવણી આપી હતી
માઁ કનકાઈ ભગવાન શ્રીકૃષ્ણના બહેન હતા તેવી પણ એક લોક વાયકા છે.દેવકીનું સાતમું સંતાન માઁ કનકાઈએ કંસને આકાશવાણી કરી કહેલું ‘તારો કાળ જન્મી ચુક્યો છે. વનવાસ દરમ્યાન અહીં ગીર જંગલમાં ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોના હસ્તે પ્રથમ યજ્ઞ કરાવ્યો હતો. 84 જ્ઞાતિના કુળદેવી હોઈ દરરોજ કોઈને કોઈ વ્યક્તિ કે પરિવાર માતાજીની માનતા અને દર્શને પધારી માના ગરબા અને સ્તુતિ ગાઈ આરાધના અને અનુષ્ઠાન કરે છે

કનકાઈ માતાજી મંદિરનો જીર્ણોધાર
શ્રી કનકાઈ મંદીરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની થપાટે જીર્ણ થયેલાં આ મંદીરને ઘણા બધા સમયના વ્હાણા વિતી ગયા. આ કનકાઈ મંદીરનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત ૧૮૬૪ માં કરવામાં આવ્યો હતો. આ જીર્ણોધાર કોણે કરાવ્યો તેની ખાસ કાંઈ માહિતી નથી.ત્યાર બાદ લગભગ ૧૪૨ વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો. લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદીરનો જીર્ણોધાર કરવા માટે વિક્રમ સંવત ૨૦૦૬માં એક સમિતિ ની રચના કરવામાં આવી. ત્યાર બાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદીરનું કામ ચાલુ કર્યુ. અને સંવત ૨૦૦૮ એટલે કે તારીખ ૦૩/૦૩/૧૯૫૨ ને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મુર્તિ જુના મંદીરમા હતી તે જ મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.