ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત; અત્યાર સુધીમાં 6 બાળકોએ ગુમાવ્યો જીવ, જાણો લક્ષણો

Chandipura virus Update: ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ(Chandipura virus Update) ફેલાતા ભયનો માહોલ છે. આ વાયરસના કારણે અત્યાર સુધી 6 બાળકોના મોત થઈ ચૂક્યા છે. હાલમાં 8 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરના લક્ષણો જોવા મળ્યા છે. 2 બાળકો હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે. ત્યારે નવા વાયરસના કારણે હાલમાં માતાપિતામાં ભારે ફફડાટ ફેલાયો છે. તેમજ નાના બાળકોના માતાપિતામાં ચિંતા વ્યાપી જવા પામી છે.

અરવલ્લીમાં બાળકનું થયું મૃત્યુ
અરવલ્લીના મેઘરજની હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ એક બાળકને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મૃત્યુ થયું છે. અત્યાર સુધીમાં કૂલ 6 જેટલા બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં વાયરસના શંકાસ્પદ કેસોની સંખ્યા 12 છે. 12માંથી ચાર કેસ સાબરકાંઠા જિલ્લામાં નોંધાયા છે, ત્રણ પડોશી જિલ્લા અરવલ્લીમાં નોંધાયા છે. આ ઉપરાંત એક-એક કેસ મહિસાગર અને ખેડામાં નોંધાયા છે. બે દર્દી રાજસ્થાનના છે અને એક મધ્યપ્રદેશથી આવેલો છે. તેઓને ગુજરાતમાં સારવાર આપવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં 6 બાળકોના થયા મોત
આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કારણે 6 મોત નોંધાયાં છે, પરંતુ તમામના સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (એનઆઇવી)માં મોકલવામાં આવ્યા છે. જ્યાંથી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે તે મોત ચાંદીપુરા વાયરસના કારણે થયા છે કે નહીં.

ચાંદીપુરા વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.

ગુજરાતમાં યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો
તબીબોના જણાવ્યા અનુસાર ‘ચંદીપુરા’ વાયરસથી સંક્રમિત બાળકોના મગજમાં સોજા સહિત અન્ય ઘણા લક્ષણો જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસથી સંક્રમિત બાળકોના પરિવારના સભ્યોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ થયા હતા. સાબરકાંઠાના ખેડબ્રહ્માના એક દર્દીનું મોત થયું છે. જ્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડાના બેનાં મોત થયા છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. નવા વાયરસને કારણે ગુજરાતમાં યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

‘ગભરાવવાની જરૂર નથી…’
આ અંગે આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ બીમારીથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે અને આ કોઈ નવો રોગ નથી. સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ વેકટર -અસરગ્રસ્‍ત સેન્‍ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે.