ભારતે લીધો પહેલગામ હુમલાનો બદલો: પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ ભારતીય સેનાની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું….

Operation Sindoor: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઈક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ (Operation Sindoor) રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એવામાં ભારતીય સેનાની સત્તાવાર પત્રકાર પરિષદની લાઈવ અપડેટ્સ:

વિદેશ સચિવે જણાવ્યું છે, કે ‘પહલગામમાં થયેલા હુમલાનો ઉદ્દેશ્ય જમ્મુ કાશ્મીરને વિકાસ અને પ્રગતિથી રોકી પછાત રાખવાનો હતો. પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી TRFએ લીધી, હુમલાખોરોની ઓળખ પણ થઈ. આ હુમલાનું સીધું કનેક્શન પાકિસ્તાન સાથે છે. પાકિસ્તાન દુનિયાભરના આતંકવાદીઓ માટે શરણસ્થળ બની ગયું છે. હુમલાના 15 દિવસ બાદ પણ પાકિસ્તાને આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી.’

ઓપરેશન સિંદૂર, આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત
ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સંસાધન પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે, કે ‘ન્યાય થયો, જય હિન્દ’. પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા.

ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે. ANI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા હતા.

LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન
ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેન પણ તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના ત્રણ લોકોના નિધન થયાની પુષ્ટિ ભારતીય સેના દ્વારા કરવામાં આવી છે.