એવરેસ્ટ બાદ MDH સહિત તમામ બ્રાન્ડના મસાલાના ટેસ્ટિંગનો ઓર્ડર; કેન્સરના તત્વો મળતાં કેન્દ્રનો મોટો નિર્ણય

MDH Masala: એવરેસ્ટ અને MDH ના કેટલાક મસાલાઓ સિંગાપોર અને હોંગકોંગમાં પ્રતિબંધિત છે. જે બાદ હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ પણ દેશભરમાં વેચાતા મસાલાની ગુણવત્તા તપાસવાનો નિર્ણય લીધો છે. એટલે કે તમામ બ્રાન્ડના મસાલાના(MDH Masala) સેમ્પલ લેવામાં આવશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્તમાન મુદ્દા હેઠળ, તે જાણવામાં આવશે કે આ બ્રાન્ડ્સ વેચાણના નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરે છે કે નહીં.

સિંગાપોરમાં પ્રતિબંધ
FSSAI સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવે છે. પરંતુ તે મસાલાની ગુણવત્તાને નિયંત્રિત કરતું નથી. સ્થાનિક બજારમાં વેચાતા ઉત્પાદનોની ગુણવત્તા ચકાસવા માટે તે માત્ર નમૂના લે છે. હોંગકોંગ અને સિંગાપોરમાં પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ સ્પાઈસીસ બોર્ડ ઓફ ઈન્ડિયા તેની નોંધ લઈ રહ્યું છે. ત્યાં ચાર મસાલા મિક્સ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ચાર મિશ્ર મસાલા વસ્તુઓ પર પ્રતિબંધ
એવું કહેવામાં આવી રહ્યું છે કે હોંગકોંગ અને સિંગાપોરમાં MDH અને એવરેસ્ટની ચાર મિક્સ મસાલા વસ્તુઓમાં જરૂરી કરતાં વધુ ઇથિલિન ઓક્સાઈડ મળી આવ્યું છે. જે બાદ હોંગકોંગમાં સેન્ટર ફોર ફૂડ સેફ્ટી (CFS) એ લોકોને તેને ન ખરીદવાની સલાહ આપી છે. વેપારીઓને પણ વેચાણ ન કરવા ચેતવણી આપવામાં આવી છે. એજન્સીએ આ મસાલા પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે.

ઇથિલિન ઓક્સાઈડનું વધુ પડતું પ્રમાણ કેન્સરનું કારણ બને છે
એવરેસ્ટ ફિશ કરી મસાલા, એમડીએચ કરી મસાલા, એમડીએચના મદ્રાસ કરી પાવડર અને એમડીએના સાંબર મિક્સ મસાલામાં સમસ્યા જોવા મળી છે. ઇથિલિન ઓક્સાઈડનું વધુ પડતું પ્રમાણ કેન્સર જેવા રોગો ફેલાવવાનું પરિબળ માનવામાં આવે છે. WHO ની ઇન્ટરનેશનલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એથિલિન ઓક્સાઇડને ગ્રુપ-1 કાર્સિનોજેન તરીકે માને છે. જે મનુષ્યમાં કેન્સરનું કારણ બને છે.