હવે રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં ભાજપનો રાજપૂત સમાજ કરશે વિરોધ: BJPનું ટેન્શન વધારશે ક્ષત્રિય આંદોલન!

Kshatriya Samaj Andolan: રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પડઘા વાગી ચૂક્યા છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર પણ કરાઈ રહ્યો છે, પરંતુ દેશની અને રાજ્યની નજર હાલ…

Kshatriya Samaj Andolan: રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પડઘા વાગી ચૂક્યા છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર પણ કરાઈ રહ્યો છે, પરંતુ દેશની અને રાજ્યની નજર હાલ સૌ કોઈની ઉપર છે એ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા. થોડા દિવસો પહેલા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માતા બહેનો વિશે કરેલી અપમાનજનક ટિપ્પણીનો મામલો(Kshatriya Samaj Andolan) હવે વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. રાજકોટ ખાતે મહાસંમેલન બાદ સંકલન સમિતિએ ભાજપ હાઇકમાન્ડને 19મી તારીખ સુધીનો અલ્ટીમેટમ આપ્યો હતો.

ક્ષત્રિય સમાજની બેઠક
પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા અંગે ભાજપ દ્વારા કોઈ નિર્ણય ન લેવામાં આવતાં રૂપાલાએ રંગે ચંગે ઉમેદવારી ફોર્મ ભર્યું છે, જેથી નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા હવે આગામી આંદોલન કઈ તરફ આગળ લઈ જવું એને લઈ રણનીતિ અને કાર્યક્રમો ઘડવા અંગેની મહત્ત્વની બેઠક અમદાવાદમાં આજે 19મી એપ્રિલના રોજ રાખવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજની અલગ-અલગ સમિતિઓના સભ્યો અને સંકલન સમિતિના મુખ્ય સભ્યોની બેઠક મળી છે. વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અંગે ભાજપ હજી સુધી કોઈ નિર્ણય ન કરતાં હવે આ બેઠક મળી છે.

આંદોલનના પાર્ટ-2ની રણનીતિ
ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા અંગેની ક્ષત્રિય સમાજની માગણીને લઈ મામલો દિલ્હી દરબાર સુધી પહોંચ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે 17મીએ રાત્રે અમિત શાહ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સહિત ઉચ્ચ નેતા સાથે મહત્ત્વની બેઠક મળી હતી, જેમાં ક્ષત્રિય સમાજને મનાવવા અંગેની ચર્ચા થઈ હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી સાથે પણ રાજપૂત સંકલન સમિતિના આગેવાનોની બેઠક થાય તેવી શક્યતા છે.

રાજપૂત સમાજ હવે આરપારની લડાઈ લડવા તૈયાર
ક્ષત્રિય સમાજના મતે હવે રૂપાલાની ઉમેદવારી રદ્દ થાય તેવું લાગતું નથી, જેથી હવે રાજકોટ લોકસભા બેઠક જ નહીં, પરંતુ ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠક પર ભાજપનો વિરોધ કરવામાં આવશે. રાજપૂત સમાજ હવે આરપારની લડાઈ લડવા તૈયાર થઈ ગયો છે.

જે રીતે રૂપાલાના નિવેદન મામલે વિરોધ પ્રદર્શનથી લઈને મહાસંમેલન સુધી આંદોલન પહોંચ્યું છે. મહા સંમેલનમાં થયેલા શક્તિ પ્રદર્શન બાદ પણ ક્ષત્રિય સમાજની માગ રૂપાલાને દૂર કરવાની સંતોષાઈ નથી, જેથી હવે ક્ષત્રિયોએ જિલ્લા લેવલે અને તાલુકા લેવલે વિરોધના કાર્યક્રમો આપવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે. એટલુ જ નહીં, હવે ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠક પર હવે ભાજપનો વિરોધ કરવામાં આવશે.