શનિવારે જે લોકો હનુમાનજીની આ વાત અનુસરે તેને મળે છે આજીવન કષ્ટથી મુક્તિ

મહેસાણાના વિજાપુરમાં સાંકાપુરા ખાતે વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી ( Kashtbhanjan Dev) મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ સ્વામીની શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ત્યારે કથા પહેલાં દિવસે  હરિપ્રકાશદાસ સ્વામી અને સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની સમૂહ આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ શ્રી હરિપ્રકાશદાસ સ્વામીએ વ્યાસપીઠ પરથી હાજરો ભક્તોને હનુમાન ચાલીસા યુવા કથાનું શ્રવણ કરાવ્યુ હતું. જેમાં શ્રી હરિપ્રકાશદાસ સ્વામીએ હનુમાનજીના મહિમા સાથે લોકો કેવી રીતે દાદાના જીવનમાંથી શીખ લઈને સુખી થઈ શકે તેવા પ્રસંગો કહ્યા હતા.

હનુમાનજીના જીવનમાંથી આપણે એક જ વસ્તુ શીખવાની કે સૌને દાદા કામ લાગ્યા

હરિપ્રકાશદાસ સ્વામીએ વ્યાસપીઠ પરથી કહ્યું કે, “ભગવાનની આપણાં પર કૃપા છે. પાણી એમને બનાવ્યું અને તમે કોકને પાવ તો આશીર્વાદ મળે. હાથ ભગવાને આપ્યા અને તેનો સારો ઉપયોગ કરો તો તમને આશીર્વાદ મળે છે. વાણી ભગવાને તમને આપી તેનો મીઠી વાણી બોલીને કોકને રાજી કરો તો આશીર્વાદ તમને મળે છે. આપણે તો સાવ મફતમાં લેવાનું છે તોય હખ થતું નથી અને તોય લઈ શકતા નથી. એટલે હનુમાનજીના જીવનમાંથી આપણે એક જ વસ્તુ શીખવાની કે સૌને દાદા કામ લાગ્યા.”

હનુમાનજીની કરેલી સેવા નિષ્ફળ જાતી નથી

વધુમાં હરિપ્રકાશદાસ સ્વામીએ કહ્યું કે, “આજે ભારતનું એક નેહડું અને ગામ એવું નહીં હોય જ્યાં હનુમાનજીનું મંદિર નહીં હોય! આ સુરેન્દ્રનગરમાં તો ગલીએ ગલીએ હનુમાનજીના મંદિર છે. અને પાછી બધા સેવા અને પૂજા સારામાં સારી કરે. એટલું ચોક્કસ યાદ રાખજો કે, હનુમાનજીની તમે કરેલી સેવા નિષ્ફળ જાતી નથી. દરેક સેવા સફળ થાય છે.”

મહત્ત્વનું છે કે, સાંકાપુરા ખાતે 2જી મેથી રાત્રે 8 થી 11 કલાક સુધી હનુમાન ચરિત્ર કથા યોજાઈ રહી છે. જેના આયોજક ધર્મેન્દ્રભાઈ તેમજ તેજેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ સહપરિવાર છે.