સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારની મોટી ભેટ: મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો, જાણો વિગતે

Dearness Allowance: રાજ્ય સરકારે રાજ્યના કર્મચારી માટે મહત્વો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી ચાર ટકાનો વધારો કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી 4.45 લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. 4.63 લાખ પેન્શનરોને પણ મોંઘવારી ભથ્થાનો(Dearness Allowance) લાભ મળશે. ભથ્થામાં વધારાની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચુકવાશે તેમજ તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચુકવાશે. NPSના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે તો બીજી તરફ NPSના કર્મચારીઓમાં રાજ્ય સરકાર 14 ટકા આપશે.

તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે
મળતી માહિતી પ્રમાણે, મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. એટલે કે, જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે.

એનપીએસ અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે
મુખ્યમંત્રીએ નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે. તદઅનુસાર, હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે.

ભૂપેન્દ્ર પટેલે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે. ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયોના અમલ અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.