સુરતના ગાંધી પરિવારની દીકરીએ મહેકાવી માનવતા, પિતાના અવસાન બાદ કર્યું અંગદાન

પાલનપુર (Palanpur) જકાતનાકા (Jakatnaka) સુરત (Surat) ખાતે રહેતા શીતલભાઈને બે-ત્રણ દિવસથી માથામાં દુઃખાવો અને ઉલટી થતી હતી. ગુરુવાર, તા.૧૪ એપ્રિલના રોજ રાત્રે ૯:૦૦ કલાકે પરિવારજનોએ તેમને યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં ડૉ.વિજય મેહતાની સારવાર હેઠળ દાખલ કર્યા.

માથામાં દુખાવાનું કારણ જાણવા માટે મગજનું MRI બ્રેઈન કરાવતા મગજને લોહી પહોંચાડતી નસો સાંકળી થઇ ગયેલ હોવાનું તેમજ મગજની અંદરની નસો ફૂલી ગઈ હતી. આ દરમિયાન મગજની બીજી નસો પણ ફૂલી જતા મગજમાં લોહી વહી જવાથી બ્રેઈન હેમરેજ થયું હતું.

શનિવાર, તા. ૧૬ એપ્રિલના રોજ યુનાઇટેડ ગ્રીન હોસ્પીટલના ડોક્ટરોએ શીતલભાઈને બ્રેનડેડ જાહેર કરતા ન્યુરોસર્જન ડૉ.જેનીલ ગુરનાનીએ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખશ્રી નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી શીતલભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી શીતલભાઈના પિતરાઈ ભાઈ બંસીભાઇ ગાંધી સાથે રહી પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

શીતલભાઈના પત્ની કામીનીબેને જણાવ્યું કે, અમે ખુબ-જ સામાન્ય પરિવારના છીએ. મારા પતિની સારવારનો ખર્ચ પણ જેમ-તેમ કરીને કર્યો છે. મારા પતિ મેડીકલ સ્ટોરમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતા હતા. હું ઘરે સિલાઈ કામ કરીને તેઓને અમારા પરિવારના જીવન નિર્વાહમાં મદદ કરું છું. મારા પતિ બ્રેઈનડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, મારા પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળશે. આમ, હૃદયને ખુબ જ કઠણ કરીને ખુબ જ ભારે હૈયે શીતલભાઈના પત્ની કામીનીબેને અંગદાન માટે સંમતી આપી હતી.

શીતલભાઈના માતા-પિતા ૮૦ વર્ષથી વધુ ઉંમરના છે, તેમની પુત્રી વૈદેહી કોલેજમાં અભ્યાસ કરે છે, સાથે-સાથે CAનો અભ્યાસ પણ કરી રહી છે. સોમવારે તેની S.Y.B.COMની પરીક્ષા હતી. આ પરીક્ષા આપ્યા પછી પુત્રી વૈદેહીએ ભારે હૈયે પિતાને અગ્નિદાહ આપ્યો હતો. સલામ છે વૃદ્ધ માતા-પિતા ધનસુખભાઈ અને ઉષાબેન, શીતલભાઈની પત્ની કામીનીબેન અને પુત્રી વૈદેહીને તેમના નિર્ણય બદલ…

દાનમાં મેળવવામાં આવેલા લિવર અને એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી ૩૬ વર્ષીય મહિલામાં અને વાપીની રહેવાસી ૩૭ વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ૩૯ વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRCમાં કરાવવામાં આવ્યું છે. કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં શીતલભાઈના પત્ની કામીનીબેન, પુત્રી વૈદેહી, પિતા ધનસુખભાઈ, માતા ઉષાબેન, પિતરાઈ ભાઈ બંસીભાઇ, બનેવી કિરણભાઈ, રમીલાબેન તેમજ પ્રવીણભાઈ ઓલીયાવાળા, ભદ્રેશ શેઠના, ભત્રીજા પ્રશાંત અને રત્નેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.જેનીલ ગુરનાની, ફીજીશિયન ડૉ.વિજય મેહતા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.ખુશ્બુ વઘાશિયા, મેડીકલ ઓફિસર ડૉ.ધ્વનિત પટેલ, યુનાઇટેડ ગ્રીન હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રીશ્રી રાકેશ જૈન, ટ્રસ્ટીશ્રી હેમંત દેસાઈ, સીઈઓ નીરવ માંડલેવાલા, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, યોગેશ પ્રજાપતિ, રોહન સોલંકી અને ચિરાગ સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૦૬ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૨૨ કિડની, ૧૮૦ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૦ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૨૬ ચક્ષુઓના દાનથી કુલ ૯૧૯ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *