હલકી દવા વેચનાર વિરુદ્ધના કેસમાં ફરિયાદ કરનાર અધિકારીને 22 વર્ષે કોર્ટે બોલાવ્યા

Congress neta manhar patel: હલકી ગુણવત્તાવાળી દવાઓ મામલે ગુજરાત હાઇકોર્ટમાં 22 વર્ષ પહેલા અરજી કરવામાં આવી છે. દવા બનાવવા માટે વપરાતા ઘટકો હલકી ગુણવત્તાના હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. ત્યારે હવે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે(manhar patel) સરકાર પર કટાક્ષ કરતા કહ્યું છે કે, ગુજરાતમા હલકી ગુણવત્તાયુક્ત જંતુનાશક દવા, બિયારણ અને ખાતરને કારણે આર્થિક નુકશાની ભોગ બનતા ખેડુતોને ન્યાય આપવા રાજ્ય સરકાર ખાસ ફાસ્ટ કોર્ટ શરુ કરે. જે વેપારીઓના હલકા અને નબળા એગ્રી ઇન્પુટસ (જંતુનાશક દવા, બિયારણ અને ખાતર) થી છેતરાતા ખેડુતોને રાજ્ય સરકાર ત્વરિત વચગાળાની આર્થિક રાહત આપવાની જોગવાય કરે.

રાજ્યમા ખેડુતોના આપઘાતનુ કારણ અમુક વેપારીઓના હલકા અને નબળા એગ્રી ઇન્પુટસ (જંતુનાશક દવા, બિયારણ અને ખાતર) સાબિત થાય તો તેવા વેપારીઓ ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવામા આવે. નબળા–હલકા એગ્રી ઇન્પુટસના વેચાણ સામે રાજયમા મજબુત કાયદા નથી અને કાયદામા ગુનેગારોને સજાની જોગવાય નથી, તેના કારણે અમુક વેપારીઓ ભય અને ડર વગર નબળા અને હલકા એગ્રી ઇન્પુટસ (જંતુનાશક દવા, બિયારણ અને ખાતર) ખેડુતોને વેચીને કરોડો રુપિયાની કમાણી કરે છે.

ગુજરાતના કૃષિ વિભાગના ઇમાનદાર અધિકારીઓ આ દિશામા કામ કરવા મજબુત છે પરંતુ ખોખલા કાયદાઓ, કાયદામા સજાની જોગવાય નહી અને અમુક અંશે મંદ ગતિથી ચાલતી ન્યાય પ્રક્રીયાને કારણે ખેડુતોને ન્યાય મળતો નથી.
એક ઇમાનદાર ખેતીવાડી અધિકારીએ હલકી અને નબળી જંતુનાશક દવાના વેપારી ઉપર શિહોર કોર્ટમા કેસ ફાઈલ કર્યો,તેની વિગત સરકારની ખેડુત વિરોધી નિયત અને માનસિકતા છતી કરે છે.

મનહર પટેલે વધુમાં જણાવતા કહ્યું કે, એક ખેતીવાડી અધિકારીએ વર્ષ 2001 માં હલકી ગુણવત્તાની જંતુનાશક દવાનો કેસ ભાવનગરના શિહોર કોર્ટમા દાખલ કરેલ, વર્ષ ૨૦૦૩ સુધી કેસની મુદત પડતી અને દર વર્ષે ચાર-પાંચ મુદત આવતી, ૨૦૦૩ સુધી મુદતની જાણ મજકુર ખેતીવાડી અધિકારીને હતી અને ત્યા સુધી તે કોર્ટમા હાજરી પણ આપતા હતા, પરંતુ વર્ષ ૨૦૦૩ પછી તે ખેતીવાડી અધિકારીને મુદતની તારીખ જાણ થતી જ બંધ થઈ ગઈ અને વર્ષ ૨૦૨૩મા એટલે કે હવે આ અધિકારી નિવૃત થયા બાદ કેસ બોર્ડ ઉપર આવેલ છે.

આમ એક પેઢી જેટલા લાંબા સમય સુધી આ નબળા અને હલકા એગ્રી ઇનપુટસ વેચતા રહ્યા, આમ આટલા લાંબા સમય પછી કોર્ટમા કેસ બોર્ડ ઉપર આવતા હોય તો શુ ખેડુતોને ન્યાય મળવાની અપેક્ષા જીવંત રહે ? ઇમાનદાર ખેતીવાડી અધિકારીએ પોતાની ફરજ દરમ્યાન નબળા અને હલકા એગ્રી ઇન્પુટસ વેચતા વેપારીઓ ઉપર ફરિયાદ કરીને કોર્ટ કાર્યવાહી કરી તેનુ અંતે પરિણામ શુ આવ્યુ ? સરકારમા ફરજ બજાવતા આવા ઇમાનદાર ખેતીવડી અધિકારીઓને કામ કરવાનો ઉત્સાહ રહે ? આમ ગોકળગાયની મંદગતિએ ચાલતી વહીવટી પ્રક્રીયાથી રાજ્ય સરકાર ખેડુતોને ન્યાય અપાવી શકે ?

ટુંકમા ગુજરાત સરકારની ખેડુત વિરોધી માનસિકતા હલકી અને નબળી ગુણવત્તાયુક્ત જંતુનાશક દવા, બિયારણ અને ખાતર વેચતા વેપારીઓને સીધી અને આડકતરી રીતે પ્રોત્સાહન પુરુ પાડે છે, અને તેના કારણે આવા અનઅધિકૃત એગ્રી ઇન્પુટ્સ વેચતા વેપારીઓનો વિશ્વાસ વધે છે અને રાજયના ખેડુત વર્ષે કરોડો રુપિયાની આર્થિક નુકશાની ભોગવે અને અને તે પૈકીના અમુક આત્મહત્યાના પગલા ભરવા મજબુર થાય છે.

કૃષિ મંત્રી અને સરકારને અમારી વિનંતી છે કે, સરકારની વર્તમાન કાર્ય પદ્ધતિ અને કાયદાની જોગવાઇઓ ખેડુતોના ભોગે વેપારીઓ માટે સુરક્ષિત કરનારી છે,તેમા ઘનિષ્ટ વિચારણા થાય અને રાજ્યનો કોઇપણ ખેડુત ખેતી સામગ્રીની ખરીદીમા છેતરાઈ નહી તે આર્થિક નુકશાનીનો ભોગ ન બને તે માટે અમારા ઉપરોકત સુચનોને ધ્યાને લઈને વહેલીતકે નિર્ણયો કરવામા આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *