ભારતનું એકમાત્ર અનોખું મંદિર: જ્યાં શ્રદ્ધાળુઓને પ્રસાદમાં અપાય છે માટી અને દરેક ભક્તોની મનોકામના થાય છે પૂરી

આપણા દેશને એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. અહીં અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. તેમાં પણ ખાસ કરીને આપણા દેશમાં દેવસ્થાનોમાં પ્રસાદનું સવિશેસ મહત્વ હોય છે. ત્યારે ભારતભર માં એક માત્ર એવું મંદિર જ્યાં પ્રસાદ રૂપે માટી અપાય છે. શક્તિપીઠ બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટ વાવ મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક છે. જ્યાં પ્રસાદ રૂપે વાવની માટી અપાય છે. તો ચાલો તેના સાથે સંકળયેલા ઈતિહાસ વિશે જાણીએ…

મળતી માહિતી અનુસાર, ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી શક્તિપીઠ બહુચરાજી મંદિર જે ભક્તો માટે આસ્થાનું પ્રતીક રહ્યું છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ પોતાની અનેક મનોકામના માટે માં બહુચરને આજીજી કરી બાધા રાખતા હોય છે. ત્યારે બહુચરાજી મંદિર હસ્તકની વલ્લભ ભટ્ટની વાવ મંદિર પણ આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

અહીયાની ખાસ વાત તો એ છે કે, અહીં આવતા શ્રદ્ધાળુઓને બાધા પ્રસાદ રૂપે અપાય છે વાવની પવિત્ર માટી. આ મંદિર પાસે એક વાવ આવેલી છે. જે વાવ 350 વર્ષ પુરાણી માનવામાં આવે છે. બહુચર માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટને આ જગ્યાએ માતાજીએ પરચો પૂર્યો હોવાની માન્યતા છે. તેના વિશે વાત કરીએ તો, 350 વર્ષ પૂર્વે માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ અમદાવાદ નવાપુરાથી એક પગપાળા સંઘમાં બહુચરાજી આવવા જોડાયા હતા. આ દરમિયાન માતાજીના દર્શન કર્યા બાદ અન્ન જળ લેવાનો ભક્ત વલ્લભે નિર્ધાર કર્યો હતો.

ત્યારે માં બહુચરના નાદ સાથે આ પગપાળા સંઘ બહુચરજીથી માત્ર 2 કિમી દૂર આવી પહોંચ્યો અને ભક્ત વલ્લભ હવે આગળ ચાલવા અસમર્થ બન્યા હતા. આ દરમિયાન સંઘમાં આવેલ અન્ય ભક્તોએ ભક્ત વલ્લભને પાણી પીવા કહ્યું. ત્યારે માં બહુચરની ભક્તિમાં તરબોળ થયેલા વલ્લભે પાણી પીવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું કે હવે જો માની ઈચ્છા હશે તો હું તેના દ્વારે પહોંચીશ, પણ જળ ગ્રહણ નહિ કરું. આથી વલ્લભ ભટ્ટે માતાજીને પ્રાર્થના કરી અને વિનંતી કરી કે હવે હું તારા મંદિર સુધી પહોંચી શકવા સમર્થ નથી. તારી કૃપા થાય અને તું મને અહીં દર્શન આપે તો હું જલ પાન કરી તારા દ્વાર સુધી પહોંચી શકું.

ત્યારે ભક્તની આજીજી સાંભળી માતાજીએ દર્શન આપી બાજુમાં પડેલ એક પથ્થર હટાવવાનું કહ્યું હતું. આમ વલ્લભભટ્ટ દ્વારા પથ્થર હટાવતા પાણીની ધારા ફૂટી હતી અને તેમને અને સાથી સંઘના લોકોએ આ પાણી પીધા બાદ બહુચરાજી પહોંચ્યા હતા. આ પછી ત્યાં સમયાંતરે વાવનું નિર્માણ થયું હતું. આ વલ્લભ ભટ્ટ વાવ મંદિર શ્રદ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ, વિદેશ ગમન, અસાધ્ય રોગમાંથી મુક્તિ માટે, મકાન તેમજ ધંધાની પ્રગતિ માટે અહીં બાધા રાખતા જોવા મળે છે. અહીં શ્રદ્ધાળુઓને પ્રસાદ રૂપે વાવની માટી આપવામાં આવે છે.

જાણવા મળ્યું છે કે, અહીંથી આપવામાં આવતી વાવની માટી પોતાના ઘેર દેવ સ્થાન મંદિરમાં મૂકી સેવા પૂજા કરવામાં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતા માટી પરત મુકવા આવવાની પ્રથા જોવા મળે છે. ભક્તો પાસે આ વિશે પૂછતાં અનેક લોકોએ આ માટીથી માતાજીએ અનેક કામ કર્યા હોવાનું જણાવી રહ્યા છે. તેમજ આ વાવની માટીમાંથી બહુચરાજી મંદિરને વર્ષે અંદાજે 9 લાખ આસપાસની આવક પણ થતી હોવાનું પણ જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *