GSRTC ની 151 નવી લક્ઝરી બસોનુ લોકાર્પણ- હવે બસનું પૂછવા પૂછપરછ કાઉન્ટર જવાની જરૂર નહિ પડે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) દિશાદર્શનમાં ગુજરાત એસ.ટી. દ્વારા મુસાફર લક્ષી વધુ બે સુવિધાઓનો શુભારંભ થયો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે (GSRTC)…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) દિશાદર્શનમાં ગુજરાત એસ.ટી. દ્વારા મુસાફર લક્ષી વધુ બે સુવિધાઓનો શુભારંભ થયો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે (GSRTC) કુલ 53 કરોડ રૂપિયાના ખર્ચે નવી 151 બસ મુસાફર જનતાની સેવામાં કાર્યરત કરી છે.

મુખ્યમંત્રીએ 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ એમ કુલ 151 બસીસનું ગાંધીનગરમાં બે ડ્રાઇવર ભાઈઓને બસ ની ચાવી પ્રતીક રૂપે આપીને લોકાર્પણ કર્યું હતું. આ નવી બસ સેવાઓ રાજ્યમાં મુસાફરોની સફર વધુ આરામ દાયક તેમજ સગવડ્યુક્ત બનાવશે.

વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghavi) ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ એસ.ટી.નિગમની અન્ય એક વધુ મુસાફર સુવિધા સેવા ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ જશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાત એસટી નિગમે નાગરિક મુસાફરોની સુવિધામાં સતત વૃદ્ધિના અભિગમ સાથે રૂપિયા 310 કરોડની નાણાકીય જોગવાઈ સાથે એક હજાર નવી બસ સંચાલનમાં મૂકવા કાર્ય આયોજન કર્યું છે.  આ 1,000 બસમાંથી 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી અને 200 સ્લીપર કોચ ક્રમશઃ મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ નવી બસ પૈકી વધુ 151 બસ આજથી પેસેન્જર સર્વિસમાં મૂકવામાં આવી છે.
આ બસનું નિર્માણ એસ ટી નિગમ દ્વારા ઈન હાઉસ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગ્રીન ક્લિન એનર્જીને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતામાં સૂર પુરાવતા એસટી નિગમે ઝીરો એર પોલ્યુશન ધરાવતી 50 ઇલેક્ટ્રીક બસ સંચાલનમાં મૂકી છે અને હજુ વધારે 50 ઇ બસ નાગરિકોની સેવામાં આવનારા દિવસોમાં શરૂ કરાશે. એટલું જ નહિ ,2020 માં દેશમાં જાહેર પરિવહન સેવા માટે કાર્યરત નિગમ દ્વારા પર્યાવરણ પ્રિય BS06 નોર્મ્સ ધરાવતી 1000 બસ દેશ ભરમાં પ્રથમ સંચાલનમાં મુકનારા નિગમનું ગૌરવ પણ ગુજરાત એસ.ટી નિગમને આ અગાઉ મળેલું છે.

ગુજરાત એસટી 274 સ્લીપર કોચ, 1193 સેમી લક્ઝરી અને 5296 સુપર ડિલક્સ સુપર અને 1203 મીની બસ સહીત 7966ના કાફલા સાથે રાજ્યની જનતા જનાર્દનની પરિવહન સુવિધા માટે કર્તવ્યરત છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત એસટી નિગમને કાર્યદક્ષ, સમયસર અને પર્યાવરણ પ્રિય યાતાયાત સુવિધા લોકોને પૂરી પાડવા અંગે અભિનંદન પાઠવ્યા હતા.

વાહન વ્યવહારના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, એસટી નિગમના એમડી ગાંધી, જોઇન્ટ એમ ડી પ્રજાપતિ,ગાંધીનગર શહેરના મેયર હિતેશ મકવાણા, તેમજ ગાંધીનગર ઉત્તર, દહેગામ, કલોલ અને માણસા ના ધારા સભ્યો અને આમંત્રિતો ,અધિકારીઓ આ અવસરના સાક્ષી બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *