અમદાવાદમાં કન્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતાં 4 મજૂર દટાયા એકનું મોત, ત્રણની હાલત ગંભીર

Construction Site in Ahmedabad: અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક કન્ટ્રક્શન સાઇટમાં ભેખડ ધસી પડવાની ઘટના બની હતી. ભેખડ ધસી(Construction Site in Ahmedabad) પડતાં ચાર લોકો દટાયા હતા. ભેખડ ધસી પડી હોવાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ બનાવ અંગ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી અને બચાવકાર્ય હાથ ધર્યું હતું. સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમ પહોંચે એ પહેલા એક વ્યક્તિને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો. ફાયર વિભાગની ટીમે અન્ય ફસાયેલા ત્રણ લોકોને બહાર કાઢી એલજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે આ ચાર મજૂરમાંથી એકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે.

ત્રણ મજૂરોને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મણિનગર સ્વામિનારાયણ કોલોનીમાં શ્રીજી એલિગન્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રીજી ઇન્ફ્રા દ્વારા સ્કીમનું બાંધકામ ચાલતું હતું. બપોરે 11:30 વાગ્યાની આસપાસ મજૂરો કામ કરતા હતા ત્યારે ભેખડ ધસી પડી હતી. જેમાં કુલ ચાર લોકો હતા. આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેમાં એક વ્યક્તિને સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર કાઢી લીધો હતો જ્યારે શાંતિબેન પાયલબેન અને ચિરાગ નામના ત્રણ મજૂરોને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બહાર કાઢી સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જવાબદાર કોઈ વ્યક્તિ સાઈટ પર હાજર નહોતી
અમદાવાદ ફાયર બ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર ઓમ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 11:30 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને ફોન મળ્યો હતો. જેમાં ચાર લોકો દટાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ત્રણ લોકોને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યા હતા. ત્રણેય મજૂરોને બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શ્રીજી ઇન્ફ્રા નામની બાંધકામ સાઈટ હતી અને જ્યારે અહીંયાં પહોંચ્યા ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હાજર જોવા મળ્યો નહોતો.

એક મજૂરના મોતના પગલે તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.તેમજ આ ઘટનાના પગલે પોલીસ દ્વારા તેમજ અન્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.