વાસદથી ભરૂચ પહોચવામાં લાગશે માત્ર 40 મિનિટ: PM મોદીએ નવા એકસપ્રેસ હાઇવેનું કર્યું વર્ચ્યુયલી લોકાર્પણ

Bharuch News: વડોદરાથી ભરૂચ આવતા વાહન ચાલકોને અંદાજીત એક કલાકનો સમય થતો તો જે આજે વાસદથી દહેગામ સુધીના માર્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુયલી(Bharuch News) ખુલ્લો મુક્યો છે.જેથી હવે વડોદરાથી ભરૂચ પહોચવામાં માત્ર 40 થી 45 મિનિટમાં ભરૂચ પહોંચી શકાશે.

જમીન સંપાદનના વિવાદના કારણે ખુલ્લો મુકવામાં આવી રહયો ન હતો
વડોદરાથી ભરૂચ વચ્ચેનો નવો એકસપ્રેસ હાઇવે બે વર્ષથી તૈયાર હોવા છતાં અંકલેશ્વર પાસે જમીન સંપાદનના વિવાદના કારણે ખુલ્લો મુકવામાં આવી રહયો ન હતો.વડોદરાથી મુંબઇ એકસપ્રેસ હાઇવેના વાસદથી દહેગામ સુધીના 96 કિમીના ભાગનું ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવસારીથી વર્ચ્યુઅલી ખુલ્લો મુકાયો હતો. નવા એકસપ્રેસ હાઇવેથી ભરૂચના દહેગામથી વાસદ સુધી માત્ર 40 થી 45 મિનિટમાં પહોંચી શકાશે. દક્ષિણ ગુજરાત તરફથી આવતાં વાહનો દહેજ બાયપાસ થઇને દહેગામ આવીને એકસપ્રેસ હાઇવે પરથી જઇ શકશે.તેવી જ રીતે વડોદરા તરફથી આવતાં વાહનો દહેજ બાયપાસ થઈ નેશનલ હાઇવે 48 અથવા જૂના નેશનલ હાઇવે -8 પર જઇ શકશે.

65 હજાર કરતાં વધારે વાહનચાલકોને રાહત થશે
નવા એકસપ્રેસ વેના કારણે હવે નેશનલ હાઇવે 48 પર વાહનોનું ભારણ ઓછું થશે અને વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુકિત મળશે.દહેગામ પાસે નર્મદા નદી પર કેબલ બ્રિજ તૈયાર હોવાથી આગામી દિવસોમાં હાઇવેને સુરત સુધી વાહનો માટે ખુલ્લો મુકવામાં આવશે.નવા એકસપ્રેસ વેના કારણે ટ્રાફિક ડાયવર્ટ થવાની હાલના નેશનલ હાઇવે પરથી પસાર થતાં 65 હજાર કરતાં વધારે વાહનચાલકોને રાહત થશે.

ટ્રાફિકજામમાંથી મળશે છુટકારો
સુરતથી વડોદરા વચ્ચેના નેશનલ હાઇવે પર કેટલાય બ્રિજો સાંકડા હોવાના કારણે છાશવારે ટ્રાફિકજામ થઇ જતો હોય છે. જેના કારણે વાહનચાલકોના સમય અને ઇંધણનો વ્યય થતો હોય છે.એકસપ્રેસ હાઇવેને ખુલ્લો મુકાયા બાદ હવે વડોદરાથી દહેજ તરફ જતાં ભારદારી વાહનો નેશનલ હાઇવેના બદલે સીધા એકસપ્રેસ વેથી દહેજ જઇ શકશે. સૌરાષ્ટ્ર તરફ જતાં વાહનો પણ એકસપ્રેસ વેથી સીધા વાસદ નીકળી શકશે.વાસદ નજીકથી જૂનો એકસપ્રેસ વે ભેગો થતો હોવાથી અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફ સરળતાથી જઇ શકાશે.