અદ્ભુત! આવી ગઇ બાબા બર્ફાનીની પહેલી તસવીર, જાણો કઇ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા

Amarnath Yatra 2025: કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથની પવિત્ર ગુફાથી બાબા બર્ફાનીની પહેલી તસવીર સામે આવી છે. આ વખતે બરફનું શિવલિંગ (Amarnath Yatra 2025) આશરે 7 ફૂટ ઊંચુ છે. આ શિવલિંગના દર્શન માટે દેશભરથી લાખો લોકો અમરનાથ દર્શનાર્થે આવે છે. અમરનાથની યાત્રા 3 જુલાઈથી શરૂ થશે જે આશરે 38 દિવસ સુધી ચાલશે. 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે આ યાત્રા પૂર્ણ થશે.

13 થી 70 વર્ષના લોકો કરી શકશે યાત્રા
અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. જરૂરી મેડિકલ સર્ટિફિકેટ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. 13 થી 70 વર્ષની ઉંમરના ભારતીય અમરનાથ યાત્રા કરી શકે છે. 22 એપ્રિલના પહલગામ હુમલાની અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશન પર કોઈ અસર જોવા નથી મળી રહી. અત્યાર સુધી ગત વર્ષની તુલનામાં 20% વધારે રજિસ્ટ્રેશન થયા છે. 15 એપ્રિલથી ઑફલાઈન અને ઓનલાઇન મોડ દ્વારા આશરે 3.50 લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા માટે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

રજિસ્ટ્રેશન થઈ ગયા શરૂ
શ્રાઇન બોર્ડે e-KYC, RFID કાર્ડ, ઑન સ્પૉટ રજિસ્ટ્રેશન અને બીજી વ્યવસ્થાઓને પણ બહેતર કરવાનો નિર્ણય લીધો છે. જેથી યાત્રા અધિક સુવ્યવસ્થિત અને સુરક્ષિત થઈ શકે છે. બોર્ડનું કહેવું છે કે, આ વખતે ગત વર્ષથી વધારે શ્રદ્ધાળુઓ આવી શકે છે. તેથી જમ્મુ, શ્રીનગર, બાલટાલ, પહલગામ, નુનવાન અને પંથા ચોક પર રોકાવાની તેમજ રજિસ્ટ્રેશનની વ્યવસ્થાપ પણ કરવામાં આવી રહી છે. પહલગામ હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જેને લઈને ઘોડાવાળા અને સ્થાનિક સેવાદાર બેઝ કેમ્પમાં આઈડી તપાસ સાથે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. તીર્થયાત્રીઓની સુરક્ષાને લઈને કડક આઈટી વેરિફિકેશન સંપૂર્ણ પ્રોટોકોલ સાથે કરાવવામાં આવી રહ્યું છે.

તીર્થયાત્રાને લઈને પીએનબી સર્કલ જમ્મુના ચીફ અનિલ શર્માએ કહ્યું કે, ગર્ભવતી મહિલા, 13 વર્ષથી નાના બાળકો અને 70 વર્ષથી મોટી ઉંમરના લોકોને યાત્રાની મંજૂરી આપવામાં નહીં આવે, ભલે તેમની પાસે મેડિકલ સર્ટિફિકેટ હોય. નોંધનીય છે કે, યાત્રા માટે બે રૂટ આપવામાં આવ્યા છે.

1. પહલગામ રૂટઃ
આ રૂટને ગુફા સુધી પહોંચવામાં 3 દિવસ લાગે છે પરંતુ, આ રસ્તો સરળ છે. યાત્રામાં કોઈ સીધા ચઢાણ નથી. પહલગામથી પહેલો પડાવ ચંદનવાડી છે. આ બેઝ કેમ્પથી 16 કિમી દૂર છે. અહીંથી ચઢાણ શરૂ થાય છે. ત્રણ કિ.મી ચઢાણ બાદ યાત્રા પિસ્સુ ટૉપ પહોંચે છે. અહીંથી પગપાળા ચાલીને સાંજ સુધી યાત્રા શેષનાગ પહોંચે છે. આ સફર આશરે 9 કિ.મીનો છે. બીજા દિવસે શેષનાગથી યાત્રી પંચતરણી જાય છે. આ શેષનાગથી આશરે 14 કિ.મી છે. પંચતરણીથી ગુફા 6 કિ.મી દૂર છે.

2. બાલટાલ રૂટઃ
જો સમય ઓછો હોય તો બાબા અમરનાથ દર્શન માટે બાલટાલ રૂટનો ઉપયોગ કરી શકાય છે. તેમાં ફક્ત 14 કિ.મીની ચઢાણ છે. પરંતુ, આ એકદમ સીધું ચઢાણ છે. તેથી વડીલોને આ રસ્તે જવામાં તકલીફ પડે છે. આ રૂટ પર રસ્તા સાંકડા છે અને ખતરનાક વળાંક છે.