વ્યાજે લીધેલા રૂ. ના ત્રણ ગણા ચૂકવ્યા છતાં લાલચુ વ્યાજખોરો આપતા રહ્યા ત્રાસ, છેવટે કંટાળી મુકેશ પટેલે તળાવમાં કુદી જીવ આપી દીધો

મહેસાણા(Mehsana): વ્યાજખોરોનો ત્રાસ અવાર નવાર સામે આવતો જ રહે છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક આધેડે બે…

મહેસાણા(Mehsana): વ્યાજખોરોનો ત્રાસ અવાર નવાર સામે આવતો જ રહે છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક આધેડે બે તળાવમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ સાથે જ ગઇકાલે તેમનો મૃતદેહ મળતાં મહેસાણા સિવિલમાં લવાયો હતો, જ્યાં પ્રાથમિક તબક્કે પંચનામામાં પોલીસકર્મીએ આપઘાતને બદલે પગ લપસી જતાં મોત થયું હોવાનું લખતાં ટોળાએ હુમલો કર્યો હતો. તેમજ જ્યાં સુધી ગુનેગારો સામે સાચી ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે પોલીસના ઉપરી અધિકારીઓએ આવીને ફરિયાદ નોંધી મામલો શાંત પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, મુકેશભાઈ ત્રિભોવનભાઈ પટેલ નામના આધેડ ખેરવા ગામના રહેવાસી હતી. તેઓ ગણપત યુનિવર્સિટીમાં પટાવાળા તરીકેની ફરજ બજાવતા હતા. તેમણે વ્યાજે લીધેલા રૂપિયાના ત્રણ ગણા રૂપિયા ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ ત્રાસ આપતાં હતા, જેને પગલે ત્રણ દિવસ પહેલા સુસાઇડ નોટ લખીને ગામના તળાવમાં જ કૂદીને મોતને વ્હાલુ કર્યું હતું. આ દરમિયાન બુધવારના રોજ તળાવમાંથી લાશ મળી આવતાં મહેસાણા સિવિલના પીએમ રૂમ બહાર ભેગા થયેલા ગામલોકોનાં ટોળાંએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધી ન્યાયની માગણી કરી હતી.

મામલો ઉગ્ર બનતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા:
જોકે વિમલ નામના પોલીસકર્મીએ પંચનામામાં પગ લપસી જતાં મોત થયું હોવાનું લખ્યું હતું. જેને પગલે ભારે હોબાળો મચ્યો હતો અને ટોળાંએ પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. મામલો ઉગ્ર બનતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને આખરે મૃતકની દીકરીની ફરિયાદ આધારે વ્યાજખોર ગાંડા દેસાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સાથે જ સુસાઇડ નોટમાં મૃતકે વ્યાજે લીધેલા એક લાખના રૂ.3.30 લાખ ચૂકવ્યા હોવા છતાં પાંચ લાખ રૂપિયા માગી ઘર પડાવી લેવાની ધમકી અપાતી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

પપ્પા બાઇક લઈને ન ગયા તો અમને શંકા ગઈ: મૃતકની દીકરી
ત્યારે આ ઘટના અંગે મૃતકની દીકરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેણે જણાવ્યું છે કે, મારા પપ્પા રોજ બાઇક લઇને નોકરી પર જતા, પણ એ દિવસે બાઇક લઇને નહોતા ગયા. મારા કાકાની દીકરીને બાઇકની ચાવી આપી અને કહ્યું કે તારી મોટી મમ્મીને કહેજે હું ગાડીમાં બેસીને બહાર જવાનો છું, જેથી અમને શંકા જતાં અમે શોધખોળ હાથ ધરી હતી.

વધુમાં તેણે જણાવ્યું હતું કે, ત્યારે શોધખોળ હાથ ધરતા પપ્પાનું સ્વેટર ગામના સુજલામ સુફલામ તળાવના કિનારેથી મળી આવ્યું હતુ, જેથી પપ્પા ગુમ થયાની અમે પોલીસને અરજી આપી હતી. ત્યારબાદ તરવૈયાઓએ તળાવમાં શોધખોળ કરી પણ કંઇ મળ્યું નહોતું. જ્યારે બે દિવસ બાદ તળાવમાં તરતી લાશ જોવા મળતાં અમે પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસે મૃતદેહ બહાર કાઢ્યો હતો.

વ્યાજખોરો પરિવારને ઉઠાવી લેવાની ધમકી આપતા:
આ સાથે જ મૃતકના કુટુંબીભાઈ હરેશ પટેલે જણાવ્યું હતું કે મૃતક પર પૈસા મામલે બહુ દબાણ હતું. નોકરીએ જતા ત્યારે રસ્તા પર ધાકધમકીઓ આપતા અને પકડીને ઊભા રાખતા. તેમનાં પત્ની કે છોકરી ગામમાં કોઈ વસ્તુ લેવા જાય ત્યારે ઉઘરાણી કરનાર પૈસા લેવા ઊભો રહેતો અને બેફામ અપશબ્દો બોલતો. 1 લાખ આપ્યા હતા છતાં વ્યાજખોરોએ 3.30 લાખ લીધા અને હજુ 5 લાખ આપ નહીં તો પરિવારને ઉઠાવી લઇશું એવી ધમકીઓ આપતાં હતા. જેના કારણે મુકેશભાઈએ આપઘાત કર્યો છે.

મૃતકે સ્યુસાઇડ નોટમાં શું લખ્યું:
તેમણે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘મેં રબારી ગાંડાભાઈ જોડેથી એક લાખ લીધેલ હતા, એક લાખ વ્યાજ સહિત મેં હપ્તે હપ્તેથી આપતો હતો. પાંચ લાખ રૂપિયા મારી પાસે માગે છે. મેં અત્યાર સુધી 3 લાખ 30 હજાર ચૂકવેલ છે. આજે મને રૂબરૂમાં ઘર પડાવી લેવાની વાતો કરે છે અને જો મારા રૂપિયા નહીં આપે તો મને મારી નાખવાની અને મને રૂબરૂ મળે ત્યારે ગાળો અને ના બોલવાના શબ્દો બોલે છે. જેના કારણે મેં આવું પગલું ભર્યું છે. મારા તરફથી મોટી સજા કરશો.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *