અમદાવાદમાં AMTS બસ ફરી બની ‘જીવલેણ’: મણિનગરમાં ટુ-વ્હીલર ચાલકને કચડતાં ઘટનાસ્થળે જ મોત

AMTS Bus: અમદાવાદની ‘લાઈફલાઈન’ ગણાતી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો હવે સતત લોકોના જીવ લઈ રહી છે. અમદાવાદ શહેરમાં AMTS બસ(AMTS Bus) જીવલેણ બનીને બેફામ દોડી…

AMTS Bus: અમદાવાદની ‘લાઈફલાઈન’ ગણાતી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસો હવે સતત લોકોના જીવ લઈ રહી છે. અમદાવાદ શહેરમાં AMTS બસ(AMTS Bus) જીવલેણ બનીને બેફામ દોડી રહી છે.જાણે કે રસ્તો પોતાની માલિકીનો હોય તેવી રીતે ન તો તેના ડ્રાઈવરો પર લગામ લગાવવામાં આવી રહી છે અને ન તો તેના સંચાલન દ્વારા કડક નિયમો બનાવવામાં આવી રહ્યા. 19 એપ્રિલના રોજ અમદાવાદ શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા નજીક AMTS બસની અડફેટે ટુ-વ્હીલર ચાલકનું મોત નિપજ્યું હતું.

AMTS બસ ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા નજીક 52 વર્ષીય નવીન પટેલ પોતાના ટુ-વ્હીલર પર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. આ સમયે ડાબી બાજુથી બેફામ આવતી AMTS બસે ટુ-વ્હીલર ચાલકને કચડ્યા હતા. બસના આગળ અને પાછળના ટાયર ટુ-વ્હીલર ચાલક પર ફરી વળતા સ્થળ પર જ તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં બેફામ સ્પીડથી જતી એમટીએસ બસ દ્વારા ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. શહેરમાં દોડતી AMTS બસ યમદૂત બની હોય તેમ 10 વર્ષમાં 7283 અકસ્માત કર્યા હતા અને 171ના મોતને થયા હતા. તેમાં પણ 116 મૃત્યુ ખાનગી ઓપરેટરોની બસોએ સર્જ્યા હતા.

સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું હતું કે, 19 એપ્રિલ 2024ના રોજ સર્જાયેલા અકસ્માત બાદ AMTS બસનો ડ્રાઈવર ત્યાંથી બસ લઈને નાસી જાય છે. જોકે બાદમાં બસના ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો હતો. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, અકસ્માત સર્જનાર બસની એજન્સી અર્હમ ટ્રાવેલ્સ છે. મૃતક નવીન પટેલ બહેરામપુરામાં લાકડાનો વ્યવસાય કરે છે અને ઘટનાના દિવસે તેઓ મિલ પર ગયા હતા અને બાદમાં એક ફાઈલ લેવા માટે પોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા.

ખાનગી કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી નથી થતી
AMTS બસોના ખાનગી કોન્ટ્રાક્ટરો સત્તાધારી ભાજપના મળતીયાઓ છે. જેમાં એક ભાજપના ચાલુ ધારાસભ્ય અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચમાંથી એક હોદ્દેદારના સગા સંબંધીની માલિકીની બસો ચાલે છે. જેને કારણે તેઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી, તેમજ કોન્ટ્રાકટરોને કોઈ વળતર પણ ચૂકવવાની ફરજ પણ પાડવામાં આવતી નથી. માત્ર પોલીસ ફરિયાદ કરી કેસ રફે દફે કરી દેવાય છે. એ.એમ.ટી.એસ.ની બસો ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે અપાઈ છે. માત્ર પેનલ્ટી કરવામાં આવે છે, પરંતુ તેઓને બ્લેકલિસ્ટ કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી આવા અકસ્માતો સર્જી લોકોની જિંદગી લેનાર ખાનગી ઓપરેટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે.

ઘણા ડ્રાઇવરો ચાલુ બસ દરમિયાન નશાની હાલતમાં અથવા મોબાઈલ પર વાત કરતા હોય છે
બસોના ધણા ડ્રાઇવરો શિખાઉ અથવા લાયસન્સ ધરાવતાં નથી. ચાલુ બસે મોબાઈલ પર વાતો કરતાં હોય છે. દારૂ પીને બસો ચલાવતાં હોય છે. જેથી અસામાન્ય વધુ સ્પીડમાં ડ્રાઇવર દ્વારા કંટ્રોલ ના થતો હોઈ અકસ્માત કરી બેસે તેવી ઘટના અવારનવાર બનવા પામે છે તેમ છતાં સત્તાધારી ભાજપના હોદ્દેદારો મળતીયા કોન્ટ્રાકરોને છાવરે છે શા માટે?