જામનગર | સચાણા રોડ પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત: 3 યુવકોના દર્દનાક મોત, એક ગંભીર…

Jamnagar Accident: જામનગર નજીક જાંબુડા પાટીયા પાસેથી સચાણા ગામ તરફ જવાના માર્ગે સાંજના સમયે એક આઈટેન કાર અને ટ્રક ટેલર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો.ત્યારે…

Jamnagar Accident: જામનગર નજીક જાંબુડા પાટીયા પાસેથી સચાણા ગામ તરફ જવાના માર્ગે સાંજના સમયે એક આઈટેન કાર અને ટ્રક ટેલર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો.ત્યારે આ અકસ્માતમાં કારની અંદર બેઠેલા ચાર યુવાનો પૈકી ત્રણ યુવાનોના મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.આ ઘટનાની જાણ પોલીસને(Jamnagar Accident) થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કારનો કુરચો વળી ગયો
આ અંગે મળતી વિગતો મુજબ જામનગર નજીક જાંબુડાના પાટીયાથી સચાણા તરફ જવાના માર્ગે સાંજના સમયે પુરપાટ ઝડપે આવી રહેલા કચ્છ ના અનુ ટ્રાન્સપોર્ટ કંપનીની માલિકીના જી.જે. 12 બી.વી. 3071 નંબરના ટ્રક ટ્રેલરના ચાલકે સામેથી આવી રહેલી જી.જે.10 બી.આર. 3201 નંબરની આઈ-10 કારને ઠોકર મારી દેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો અને કારનું પડીકું વળી ગયું હતું.

3ના કમકમાટીભર્યા મોત
આ અકસ્માતના પગલે આસપાસથી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.જે બાદ આ અંગે 108ને જાણ કરવામાં આવી હતી 108 ની ટીમને દોડાવાઈ હતી,જે બાદ 108ની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. જેઓએ સ્થાનિક લોકો તેમજ અન્ય વાહનચાલકો-રાહદારીઓ વગેરેની મદદથી કારની પાછળની સીટમાં બેઠેલા બે યુવાનોને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં એક યુવાનનો મૃતદેહ જ હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું. જ્યારે અન્ય એક યુવાન ગંભીર હાલતમાં હોવાથી તેને જી.જી. હોસ્પિટલના સારવાર અપાઈ રહી છે, અને તે પણ જીવન મરણના ઝોલાં ખાઈ રહ્યો છે.

મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા
આ અકસ્માતના પગલે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જેસીબીની મદદથી ટ્રક-ટેલરની બોડીને બહારની તરફ ખેંચતી હતી. ત્યારબાદ કારના પતરા કાપીને બંને યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે બંને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ જી.જી. હોસ્પિટલમાં મૃતકોની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પરિવાર ઘેરા શોકમાં સરી પડ્યો
આ અકસ્માતમાં મૃતકોના નામ વિશાલ દીપકભાઈ સરવૈયા (ઉંમર વર્ષ 35), સાહિલ સુભાષભાઈ લીંબડ (ઉંમર વર્ષ 19) અને રોહિત ડાયાભાઈ (ઉંમર વર્ષ 19) અને તેઓ ગોકુલ નગર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રાહુલ નીતિનભાઈ લીંબડ નામના 22 વર્ષના યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેની સારવાર ચાલી રહી છે. જેઓ એકબીજાના કુટુંબી ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે.