ભાવનગરમાં તળાવડીમાં ન્હાવા પડેલા બે સગીર બાળકોના ડુબી જવાથી મોત, પરિવારમાં કુળદીપક બુઝાતા સર્જાયાં આક્રંદના દૃશ્યો

Published on Trishul News at 5:49 PM, Mon, 2 October 2023

Last modified on October 2nd, 2023 at 5:56 PM

Two children drowned in water in Bhavnagar: અવાર-નવાર પાણીમાં ડૂબી જવાથી અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં ભાવનગર જિલ્લામાંથી આવી જ એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં કાળીયાબિડ હિલપાર્ક ચોકડી થી અધેવાડા તરફ જવાનાં રોડપર આવેલ એક નાની તલાવડીમાં બે સગીર વયના માસુમ બાળકો ડૂબી જતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, કાળીયાબિડ વિસ્તારમાં રહેતા બે સગીર વયના બાળકો નાની તલાવડીમા ન્હાવા પડ્યા હતા. જે બાદ ડૂબી જતાં બંને બાળકોના મોત થયા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા બંને બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ દર્દનાક ઘટનાથી મૃતક બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

ફાયર વિભાગની ટીમે જણાવ્યા મુજબ, કાળીયાબિડમાં સ્વસ્તિક પાર્કમાં રહેતો શિવમ જગદીશભાઈ મોરબીયા તથા કાળીયાબિડમાં જ રહેતો સતીશ ઠાકરશીભાઈ ગોહેલ નામના બંને મિત્રો હિલપાર્ક ચોકડીથી અધેવાડા ગામ તરફ જતાં રોડપર શિવલીલા ફાર્મહાઉસ પાસે આવેલી તલાવડીમા ન્હાવા પડ્યાં હતાં. જે બાદ બંને બાળકો અચાનક પાણીમાં ડૂબી ગયા હતા, આ અંગેની જાણ થતાં સ્થાનિકોના ટોળે ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા છે. તો સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

બંને બાળકોના મૃતદેહો પાણીમાંથી બહાર કાઢવામાં આવતા બંને બાળકોનો પરિવાર ભાંગી પડ્યો હતો. પાણીમાં ડૂબી જવાથી 2 માસૂમ બાળકોના મોત થતાં પરિવારમાં ભારે આક્રંદના દૃશ્યો સર્જાયાં હતા. જે બાદ પોલીસ દ્વારા બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Be the first to comment on "ભાવનગરમાં તળાવડીમાં ન્હાવા પડેલા બે સગીર બાળકોના ડુબી જવાથી મોત, પરિવારમાં કુળદીપક બુઝાતા સર્જાયાં આક્રંદના દૃશ્યો"

Leave a comment

Your email address will not be published.


*