કાલાવડ-જામનગર હાઈવે થયો લોહીલુહાણ- કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત

Accident on Kalavd-Jamnagar Highway: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. જેમાં હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવી જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના જામનગર પાસે બનતા ચકચાર મચી જવા પામી છે. કાલાવડ-જામનગર હાઈવે પર ઇકો કાર અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ઇકોમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, જામનગર તાલુકાના મસિતિયા ગામના મુસ્લિમ સમાજના પીર એવા સૈયદ આમનશા બાપુ મટારી તેમના પરિવાર સાથે ધોરાજીથી ઇકોમાં પરત આવતા હતા. તે દરમ્યાન જામનગર-કાલાવાડ હાઇવે પર મોટી માટલી ગામ પાસે ઈકો કાર અને ટ્રેક્ટર વચ્ચે મોડી રાત્રે ટક્કર થઇ હતી. અકસ્માતની જાણ થતાં જ મોટી માટલી ગામના સરપંચ સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યાર બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ઇકો કારનું પડીકું વળી ગયું હતું અને એમાં સવાર સૈયદ આમનશા બાપુ મટારી સહિત તેમના પરિવારના સૈયદ આબેદામાં અને સૈયદ ઝેનબમાંનાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

મધરાતે કાલાવડ-જામનગર હાઇવે પર થયેલા ગોઝારા કાર અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં સૈયદ પરિવારમાંથી 2 મહિલા અને 1 પુરુષનું મૃત્યુ થયું છે. અકસ્માતના સમાચાર મળતા જ સમગ્ર મુસ્લિમ સમગ્ર સમાજ તેમજ મસિતિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મુસ્લિમ પરિવાર જામનગરનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ઇજાગ્રસ્તો 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *