ગુજરાતમાં મતદાન બાદ સટ્ટાબજારના ભાવમાં વધ-ઘટ: ભાજપને 43, કોંગ્રેસને 22 અને આપને 7 સીટ મળશે એવું બુકીઓનું અનુમાન

ચૂંટણી પૂરી થયા બાદ સટ્ટાબજારના ભાવમાં વધ-ઘટ જોવા મળી હતી. પહેલા બુકીઓ ભાજપને 50 સીટ આવે એવી ધારણા બાંધતા હતા, પરંતુ મતદાન બાદ હવે બુકીઓ ભાજપને 43 સીટ આવશે એવું અનુમાન દર્શાવી રહ્યા છે.

સટ્ટાબજાર સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પહેલાં ભાજપને 52 સીટ અથવા તો 50 સીટ આવવાની હતી અને એ મુજબના ભાવ ખૂલ્યા હતા. પરંતુ ધારણા મુજબ મતદાન નહિ થતાં હવે ભાજપને 43 સીટ આવશે અને 45 સીટ નહિ આવે એ પ્રમાણેના ભાવ ખૂલ્યા છે.

ચૂંટણી બાદ સટ્ટાબજારમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત બની ગઈ છે. ચૂંટણી પહેલાં બુકીઓએ કોંગ્રેસને 19 સીટ નહિ, પરંતુ 17 સીટ આવશે એ પ્રમાણેના ભાવ ખોલ્યા હતા, પરંતુ ચૂંટણી બાદ હવે કોંગ્રેસને 22 સીટ આવશે એવી ધારણા બુકીઓ રાખી રહ્યા છે.

કોંગ્રેસને 24 સીટ નહિ પરંતુ 22 સીટ મળશે અને એ પ્રમાણે ભાવ બુકીઓએ ખોલ્યા છે. જોકે ચૂંટણી બાદ સટ્ટાબજારમાં ‘આપ’ના ભાવ સ્થિર રહ્યા છે. ચૂંટણી પહેલાં બુકીઓએ આપને 7 સીટ નહિ, પણ 5 સીટ આવશે એ પ્રમાણેના ભાવ ખોલ્યા હતા, પરંતુ ચૂંટણી પછી તેમાં કોઈ ફેરફાર થયો નથી.

રાજકોટમાં ગઇકાલે 50.75 ટકા જેટલું મતદાન થયું હતું, જે નેતાઓની અપેક્ષા કરતાં ઓછું થયું છે. અપેક્ષા કરતાં ઓછું મતદાન ભાજપ માટે નુકસાન સમાન ગણવામાં આવી રહ્યું છે. જો વધુ મતદાન થયું હોત તો ભાજપને 45 થી 47 બેઠક પર જીતની આશા હતી. હાલ તો ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ દ્વારા બહુમતીના દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આપ દ્વારા સારા દેખાવનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ મનપાની ચૂંટણીમાં 18 વોર્ડના 273 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ગઈ 2015ની ચૂંટણી કરતાં એક ટકા મતદાન વધ્યું છે. 2015માં મનપાની ચૂંટણીમાં 49.53 ટકા મતદાન થયું હતું, જેના પરિણામે ભાજપને 38 અને કોંગ્રેસને 34 બેઠક પર જીત મળી હતી.

આ વર્ષે મનપાની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાયો છે. જેમાં આમ આદમી પાર્ટીનો અંડર કરંટ પણ જોવા મળી રહ્યો છે. આ વખતે રાજકીય પક્ષોની અપેક્ષા મુજબ 60 ટકા મતદાન થવાની શક્યતા હતી. પરંતુ તેની અપેક્ષા કરતાં ઓછું મતદાન થયું છે. સ્ત્રી કરતાં પુરુષ મતદારોનું 8 ટકા મતદાન વધ્યું છે. રાજકોટના પાટીદાર વોર્ડમાં આ વખતે 2015ની ચૂંટણીની સમકક્ષ મતદાન થયું છે તેવું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *