ગુજરાતમાં BJP કંઈક નવું કરવાના મૂડમાં- 20 દિગ્ગજ સાંસદોના કપાઇ શકે છે પત્તા, અમિત શાહ આ શહેરની બેઠક પરથી ચૂંટણી લડશે

LokSabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ ઇન્ડિયા મહાગઠબંધનમાં ભંગાણ પડતાં ભાજપની…

LokSabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ ઇન્ડિયા મહાગઠબંધનમાં ભંગાણ પડતાં ભાજપની રાજકીય સ્થિતિ વધુ મજબૂત બની છે. જોકે, આ વખતે ગુજરાતમાં 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા કપાશે તે નક્કી છે. ભાજપ નવા ચહેરાઓને ચૂંટણી(LokSabha Election 2024) મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેમાં વિવાદાસ્પદ જ નહીં 65થી વધુ વયના સાંસદોને ઘર ભેગા કરવા હાઇકમાન્ડે મન બનાવી લીધુ છે. ગુજરાતમાં તાજેતરમાં જ એક માત્ર ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે જ્યારે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એમ બને સિનિયર સાસંદો સિવાય બીજા કોઇની પણ ટિકિટ પાકકી ગણાતી નહીં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

મહિલાઓની સંખ્યામાં વધારો થશે
સંસદમાં 33 ટકા મહિલા અનામતને મંજૂરી આપ્યા બાદ પાર્ટી તેની શરૂઆત ગુજરાતમાંથી કરવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટી 2024ની ચૂંટણીમાં 9 મહિલાને ઉમેદવાર બનાવી શકે છે. હાલમાં પાર્ટીના કુલ 26 સાંસદોમાંથી 6 મહિલાઓ છે. જો આમ થશે તો ભાજપ પીએમ નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યથી મોટી શરૂઆત કરશે. આવી સ્થિતિમાં ઘણી વધુ મહિલા નેતાઓને સાંસદ બનવાની તક મળી શકે છે. રાજ્યની ગાંધીનગર લોકસભા બેઠક સિવાયની તમામ બેઠકો પર કોણ ઉમેદવાર હશે? તે ચોક્કસ નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી બીજી વખત ચૂંટણી લડશે તે નિશ્ચિત મનાય છે. એવી પણ ચર્ચા છે કે અત્યાર સુધી સંસદમાં રહેલા ઘણા મોટા નેતાઓ રાજ્યસભા દ્વારા હતા. પાર્ટી તેમને ચૂંટણી લડાવી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે આગામી મહિનાની 27મી તારીખે ચૂંટણી યોજાશે. પરિસ્થિતિ સ્પષ્ટ થવાની અપેક્ષા છે.

26 પૈકી 26 બેઠકો પાંચ લાખના માજીર્નથી જીતવાનો લક્ષ્ય
ગુજરાતમાં ભાજપે એક નવો રાજકીય પરિવર્તન પ્રયોગ હાથ ધર્યો છે. લોકસભાની ચૂંટણી હજુ જાહેર થઇ નથી. આ ઉપરાંત ભાજપે પણ ઉમેદવારોની ઘોષણા કરી નથી તે પહેલાં ગુજરાતમાં 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરી દેવાયા છે. ગુજરાત ભાજપનો મજબૂત ગઢ છે ત્યારે આ વખતે ગુજરાતમાં 26 પૈકી 26 બેઠકો પાંચ લાખના માજીર્નથી જીતવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવા સંકેત
અમદાવાદમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ એકમાત્ર અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવા સંકેત મળ્યા છે. અન્ય બેઠકો પર કોને ટિકિટ મળશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. ચર્ચા છે કે, ગુજરાતમાં વર્તમાન ભાજપના 20થી વધુ સાંસદોને પુન:ટિકિટ મળે તેવી શક્યતા નહીંવત છે. આ વખતે પણ ભાજપ હાઇકમાન્ડ નો રિપીટ થિયરી અમલમાં મૂકીને વર્તમાન સાંસદોને ઘેરભેગા કરવાનું મન બનાવ્યું છે. આ ઉપરાંત આ વખતે તો સિર્ફ મોદી નામ કાફી હે આધારે જ ચૂંટણી લડાશે.

આ કારણોસર જ હાઇકમાન્ડ જેને નક્કી કરે તેને વધાવી ભારે લીડ સાથે જીતાડવાનો આદેશ અત્યારથી જ આપી દેવાયો છે. આ જોતાં દાવેદારો પણ ટિકિટનું લોબિંગ કરી શકવાની સ્થિતિમાં નથી. ગુજરાતમાં દીપસિંહ રાઠોડ, નારણ કાછડિયા, ભરતસિંહ ડાભી, શારદાબેન પટેલ, મનસુખ વસાવા, પરબત પટેલ, કીરીટ સોલંકી સહિતના સાંસદો 65થી વધુ વયના છે. આ જોતાં બધાય સાંસદોની વિદાય લગભગ નક્કી છે. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી ચૂક્યા છે. આ ઉપરાંત નારણ કાછડિયા કથિત ધમકી આપવાના કિસ્સામાં વિવાદમાં ઘેરાયેલા છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ ડો. ચગની આત્મહત્યા પ્રકરણમાં ચગ્યું હતું.

ભાજપ પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવા પ્રયોગો કરવાના મૂડમાં
ભરત ડાભી અને મનસુખ વસાવા પક્ષ વિરોધી નિવેદન કરી વિવાદમાં આવી ચૂક્યા છે. ભારતી શિયાળને કેન્દ્રીય સંગઠનમાં સ્થાન મળ્યું છે પરિણામે તેમને ટિકિટ મળી શકે તેમ નથી. દીપસિંહ રાઠોડ, નારણ કાછડિયા, ભરતસિંહ ડાભી, શારદાબેન પટેલ, મનસુખ વસાવા, પરબત પટેલ, કીરીટ સોલંકી, ભારતીબેન શિયાળ, રાજેશ ચુડાસમા, દેવુસિંહ ચૌહાણ, ડૉ. મહેન્દ્ર મુજપરા, વિનોદ ચાવડા, રમેશ ધડુક, મોહન કુંડારિયા, રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, મિતેષ પટેલ, હસમુખ પટેલ, કે.સી.પટેલ આ વખતે ભાજપ હાઇકમાન્ડે રાજ્યસભા અને લોકસભા સાંસદોને ચૂંટણી મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે ભાવનગર બેઠક પરથી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ચૂંટણી લડે તેવી શક્યતા જોવાઇ રહી છે. એવી ય ચર્ચા છે કે, મનસુખ માંડવિયાએ તો અત્યારથી ભાવનગર મત વિસ્તારમાં મતદારો સાથે સંપર્ક પણ શરૂ કર્યો છે.