ગુજરાત ફરી થશે લોક? રાજ્યમાં લાગી શકે છે આ કડક પ્રતિબંધો- શાળાઓ માટે લેવાશે મોટો નિર્ણય

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)એ ધીમે ધીમે માથું ઉચક્યું છે. સાથે ઓમિક્રોન(Omicron)ના કેસોમાં પણ ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં ગુજરાત સરકાર આ મહામારી સામે લડવા કેટલી સજ્જ છે તે તો આવનારો સમય જ બતાવશે. દિવસેને દિવસે ઢગલાબંધ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે.

છેલ્લા બે દિવસથી કોરોનાના કેસનો સતત રાફડો ફાટી રહ્યો છે જેને લઇને રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી છે જેમાં કોરોનાને કાબૂમાં લેવા માટે શું કરવુ તે અંગે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે.

શાળાઓ મુદ્દે લેવાઈ શકે છે નિર્ણય:
ગુજરાતમાં તરૂણોને કોરોના રસી આપવાની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે તો બીજી બાજુ વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. શાળામાં કોરોનાના કેસ વધતા ઓફલાઇન શાળાઓ શરુ રાખવી કે કેમ તે અંગે પણ બેઠકમાં કડક નિર્ણય લેવાઇ શકે છે. 10 જાન્યુઆરી પછી રાજ્ય સરકાર શાળાઓ ચાલુ રાખવી કે ઓનલાઇન શિક્ષણ યથાવત રાખવું તે અંગે નિર્ણય લેવાઈ શકે છે.

કડક નિયમો લાગુ થઇ શકે:
ગુજરાતમાં કોરોના ધીમે ધીમે ખુબ જ વકરી રહ્યો છે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ અત્યંત આવશ્યક છે પરંતુ 3 હજારથી પણ વધારે કેસો રાજ્યમાં કોરોનાના નોંધાઇ રહ્યા છે. જે કેસોને જોતા કહી શકાય કે રાજ્યમાં કોરોનાના નિયમોને લોકો ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. વધતા કેસને મુદ્દે કદાચ સરકાર કોરોનાની નવી ગાઇડલાઇન આજ સાંજ સુધીમાં જાહેર કરી શકે છે. તેમજ કેટલાક નિયમોમાં બદલાવ લાવીને કડક નિયમો પણ લાદવામાં આવી શકે છે. હાલમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી જે કર્ફ્યૂ છે તેના સમયમાં વધારો થઇ શકે છે.

રાજ્યમાં લાગુ થઇ શકે છે આ કડક નિયમો:
મેટ્રો શહેરમાં રાત્રી કર્ફ્યુ ની અવધિ વધારી શકાય છે. ધોરણ એક થી આઠના વર્ગોને ઓનલાઇન કરી શકાય છે. તમામ સાર્વજનિક સ્થળો પર કડક નિયંત્રણો લાગુ થઈ શકે. આવનારા તહેવાર પર લાગી શકે છે ગ્રહણ. સામાજિક મેળાવડા પર લાગી શકે છે પ્રતિબંધ. થિયેટર અને પાર્ક થઇ શકે છે બંધ. ચાની કીટલી અને પાનના ગલ્લા પણ થઈ શકે છે બંધ. લગ્ન સમારોહમાં લોકોની સંખ્યા ઘટાડી શકાય છે. બ્યુટી પાર્લર 50% ક્ષમતા સાથે ખુલ્લા રહી શકશે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કેસ:
ગુજરાતમાં કોરોનાના સંક્રમણની સાથે ઓમિક્રોનનું સંક્રમણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3350 કેસ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ સામે સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 690 કોરોના કેસ તો વડોદરામાં 181 કેસ અને રાજકોટમાં 159 કોરોના કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1 દર્દીનુ મૃત્યુ નીપજ્યું છે જ્યારે વેન્ટિલેટર પર 32 દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે તો 236 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જેથી હવે રાજ્યમાં 10,994 કોરોના એક્ટિવ કેસ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5.26 લાખ લોકોમાંથી 2.80 લાખ બાળકોને વેક્સિન આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 9.18 કરોડ વેક્સિન ડોઝ અત્યાર સુધી આપી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *