સુરતમાં બારે મેઘ ખાંગા થયા: ફક્ત બે જ કલાકમાં ખાબક્યો અઢી ઇંચ વરસાદ, શહેરના અમુક વિસ્તારો પાણીમાં થયા ગરકાવ

સમગ્ર રાજ્યમાં ચોમાસાની ખુબ સારી એવી શરૂઆત થઈ ચુકી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા man મુકીને વરસી ચુક્યા છે. આવા સમયે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર સુરત શહેર તેમજ કેટલાક તાલુકામાં ફક્ત 2 કલાકમાં અઢી ઈંચ ખાબક્યો છે.

અતિભારે વરસાદને કારણે માર્ગમાં પણ ગળાડૂબ પાણી ભરાયા છે. વહેલી સવારમાંથી જ સમગ્ર આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાયું હતું. બપોરના 12 વાગ્યા પછી હવામાનમાં પલટો આવતા મુશળધાર વરસાદ ખાબક્યો છે. શહેરમાં સાર્વત્રિક વરસાદ થતાં જનજીવન પર તેની સ્પષ્ટ અસર દેખાઇ આવી હતી.

વાહનચાલકોને વિઝિબિલિટીની સમસ્યા થઈ:
ભર બપોરે મૂશળધાર વરસાદ તથા વાદળછાયું વાતાવરણ હોવાને લીધે વાહનચાલકોને વિઝિબિલિટીની સમસ્યાનો ભોગ બનવું પડ્યું હતું. શહેરના રીંગરોડ, ચોક બજાર વિસ્તારમાં ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. બ્રિજ પર પણ અતિભારે વરસાદને લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો. છેલ્લા 3 દિવસથી સમગ્ર શહેરમાં વરસાદ ઝરમર વરસતો હોવા છતાં બફારો અનુભવાતો હતો. જેથી અંતે મુશળધાર વરસાદને લીધે સમગ્ર હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અતિભારે વરસાદથી ખેડૂતોને થોડી રાહત થઇ:
સમગ્ર શહેર સહિત તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોને થોડી રાહત અનુભવાઇ છે. આ વર્ષે ચોમાસામાં પ્રમાણસરનો વરસાદ ન થવાને લીધે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. બીજી બાજુ ઉપરવાસમાં પણ વરસાદ ન થતા ઉકાઇ ડેમમાં પાણીની આવક ખૂબ જ ધીમી જોવા મળી છે.

જેને લીધે ખેડૂતોને સિંચાઇનું પાણી યોગ્ય પ્રમાણમાં મળશે કે, કેમ તે એક ખુબ મોટો પ્રશ્ન રહેલો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે વરસાદ આ વર્ષે તો ખેડૂતોને મોટી રાહત થશે. ઉકાઇ ડેમમાં પાણીની આવક થાય તો પીવાના પાણીની સાથે સિંચાઈ માટે પૂરતું પાણી ખેડૂતોને મળી રહેશે.

રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ:
સમગ્ર શહેરના ઉધના, લિંબાયત, પાંડેસરા, અઠવાલાઇન, પાલનપુર પાટિયા વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ફક્ત 2 જ કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં ચારેય બાજુ પાણી પાણી થઇ ગયું હતું. પાલનપુર વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાયાં હોવાની ફરિયાદો જણાઈ આવી હતી. રસ્તા પર પાણી ફરી વળતા  વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

શહેરના ઉધના વિસ્તાર તથા નવસારી બાજુ જવાના માર્ગ પર 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયાં હતાં. અતિભારે વરસાદને લીધે જનજીવન પર એની સ્પષ્ટ અસર જણાઇ આવી હતી. વહેલી સવારમાં કામકાજ અર્થે નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગત વર્ષની તુલનાએ આ વખતે સમગ્ર શહેરમાં વરસાદ ખુબ ઓછો નોંધાયો છે. હજુ પણ વાદળછાયું વાતાવરણ જોતાં શહેરમાં દિવસ વખતે વરસાદ આવી શકે છે. વરસાદ બંધ થતાં એકાદ કલાક જેટલા સમય પછી રસ્તાઓ પરથી પાણી નીકળી ગયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *