AAP ની ‘પાટીદારો’ને ગેરેંટી- સરકાર બનશે તો આંદોલનકારીઓ પર થયેલ કેસો પાછા ખેંચાશે

અમદાવાદ(Ahmedabad): ‘AAP’ નેતા ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક શક્તિશાળી વિકલ્પના રૂપમાં ઉભરી આવી છે. જનતાએ નક્કી કરી લીધું છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે, જ્યારે નવી સરકાર બનવાની હોય તો લોકોની આશાઓ અને અપેક્ષાઓ નવી સરકાર તરફ વધી જતી હોય છે. આટલા દિવસોમાં અલગ અલગ સમાજ અને સંગઠનો તરફથી ઘણા બધા નવા સૂચનો મળ્યા અને માર્ગદર્શન પણ મળ્યા.

તો આમ આદમી પાર્ટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ તમામ વર્ગ અને તમામ સમાજના લોકો પર જે ખોટા કેસો કરવામાં આવ્યા છે તે તમામ કેસોને રદ કરવામાં આવશે. અને જે નિર્દોષ લોકોને હેરાનગતિ થઈ છે તે તમામ લોકોને ન્યાય અપાવવામાં આવશે. ગુજરાતના તમામ સમાજ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ભાજપની શાન ઠેકાણે લાવવા માટે અને ભાજપના નેતાઓને ઘર ભેગા કરવા માટે કમર કસી રહ્યા છે. કારણ કે આ લોકોને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી તેમની વાત સાંભળશે.

આજે તમામ સમાજ, સંગઠનો અને સામાન્ય લોકો પોતાની પીડા અને પ્રશ્નો આમ આદમી પાર્ટી સમક્ષ રજૂ કરી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા અને અમારા રાષ્ટ્રીય નેતા ઈશુદાન ગઢવી દ્વારા અનેક જનતા લક્ષી નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ભાજપની સરકાર અને તાનાશાહ નેતાઓ દ્વારા અલગ અલગ સમાજના વર્ગને અને વિસ્તારને વારંવાર અન્યાય કરવામાં આવ્યો છે.

અને અન્યાય પછી જો કોઈ ભાજપના નેતાઓને રજૂઆત કરે કે માંગણી કરે ત્યારે તેમની માંગણીઓ પણ સાંભળવામાં આવતી નથી. સચિવાલયમાં અને તેમની ઓફિસોમાં બોલાવીને લોકોને અપમાનિત કરવામાં આવે છે. જ્યારે કોઈ સમાજ કોઈ વ્યક્તિ આંદોલન પર ઉતરે છે તો તે આંદોલનને દબાવી દેવા માટે ખોટી ખોટી કલમો લગાવીને તેમને હેરાન કરવામાં આવે છે. પાછલા દિવસોમાં ગુજરાતમાં ઘણા આંદોલનો થયા અને આ આંદોલનો કરવા પાછળ સમાજની મજબૂરી હોય છે. જો સત્તામાં બેઠેલા લોકો જનતાની વાત સાંભળતા હોય તો કોઈએ આંદોલન કરવાની જરૂર પડે નથી.

ના છૂટકે લોકો આંદોલન કરે છે તો તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે. માલધારી સમાજની વાત સાંભળવાની જગ્યાએ ભાજપ સરકારે માલધારી સમાજના લોકો અને ખાસ કરીને યુવાનો અને મહિલાઓ ઉપર ખોટા કેસ કર્યા છે. માલધારી સમાજની મહિલાઓને પણ જેલમાં પૂરવાનું કામ ભ્રષ્ટ ભાજપએ કર્યું છે. આદિવાસી સમાજ ઘણા સમયથી પોતાની જમીન, જળ અને જંગલ માટે લડાઈ લડી રહ્યો છે અને ખાસ કરીને કેવડિયા કોલોની વિસ્તારમાં જમીન સંપાદન મુદ્દે આદિવાસી સમાજે આંદોલન કર્યું હતું.

થોડા સમય પહેલા દલિત સમાજ એ પણ પોતાના અધિકારો માટે આખા ગુજરાતમાં એક મોટું આંદોલન ઊભું કર્યું હતું અને એ સમયે પણ દલિત સમાજના હોનહાર યુવાનો પર ભાજપની તાનાશાહ સરકારે ખોટા કેસ કર્યા હતા. આ સિવાય સમગ્ર દેશમાં ચર્ચા જગાવનાર પાટીદાર આંદોલનને પણ તોડવાની કોશિશ કરવામાં આવી હતી. પાટીદાર યુવાનો ઉપર અનેક ખોટા કેસો કરવામાં આવ્યા હતા. આ સિવાય લોકરક્ષક ભરતીમાં પણ અન્યાય થયો હતો. તેના વિરોધમાં પણ લોકોએ આંદોલન કર્યું અને આ આંદોલનને પણ તોડી નાખવા માટે ભાજપના તાનાશાહ નેતાઓએ ખોટી FIR કરીને તેમને જેલમાં મોકલવાનું નિમ્ન કક્ષાનું કામ કર્યું હતું.

ગુજરાતની બાહોશ પોલીસે પણ પોતાના ગ્રેડ પે માટે આંદોલન કર્યું હતું અને જ્યારે પોલીસે આંદોલન કર્યું હતું ત્યારે પોલીસ પર જ ખોટી FIR કરવામાં આવી હતી. આંદોલનમાં કેટલાક લોકોને જેલમાં પૂરવામાં આવ્યા અને તેમની ખોટી બદલીઓ કરવામાં આવી. આ સિવાય ખેડૂતો દ્વારા પણ પાણીના મુદ્દે અને જમીન સંપાદનના મુદ્દે આંદોલનો થયા હતા. આ તમામ સમાજ તથા તમામ વર્ગના લોકોએ આમ આદમી પાર્ટી સમક્ષ વારંવાર રજૂઆત કરી છે કે આ તમામ સમાજ અને સંગઠનના લોકો પર જે ખોટા કેસો થયા છે તેને પાછા ખેંચવા જોઈએ. આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા સહિત ઈસુદાન ગઢવી તથા મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *