ઈઝરાયલ હમાસના યુદ્ધ વચ્ચે નેતન્યાહુએ PM મોદીને ઘુમાવ્યો ફોન- જાણો બંને વચ્ચે શું થઈ વાતચીત

Netanyahu spoke to PM Modi amid Israel-Hamas war: ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ(Israel-Hamas war) વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આજે ​​એટલે કે, મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, ઈઝરાયેલની વર્તમાન પરિસ્થિતિ વિશે મને અપડેટ કરવા માટે હું ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂનો આભાર માનું છું. ભારતના લોકો આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભા છે. ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપોમાં સખત અને સ્પષ્ટપણે વખોડે છે.

હમાસના હુમલા પર PM મોદીએ શું કહ્યું?
શનિવારે આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર થયેલા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ તેને ‘આતંકવાદી હુમલો’ ગણાવીને આકરી નિંદા કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ.

ભારત પ્રભાવશાળી દેશ છેઃ ભારતમાં ઇઝરાયેલના રાજદૂત
ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને અગાઉ કહ્યું હતું કે, તેમના દેશને ભારત તરફથી મજબૂત સમર્થનની જરૂર પડશે. તેમણે કહ્યું હતું કે, ભારત એક પ્રભાવશાળી દેશ છે અને તે આતંકવાદના પડકારને સમજે છે અને આ સંકટને પણ સારી રીતે જાણે છે. આ સમયે તે અત્યંત મહત્વપૂર્ણ છે કે અમને બધું કરવાની ક્ષમતા આપવામાં આવે જેથી હમાસ તેના અત્યાચારો ચાલુ રાખી ન શકે.

તેમણે કહ્યું હતું કે, ‘અમને ભારત તરફથી ભારે સમર્થન મળ્યું છે. અમે આશા રાખીએ છીએ કે વિશ્વના તમામ દેશો સેંકડો ઇઝરાયેલી નાગરિકો, મહિલાઓ, પુરુષો, વૃદ્ધો અને બાળકોની બિનઉશ્કેરણીજનક હત્યા અને અપહરણની નિંદા કરશે. આ અસ્વીકાર્ય છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *