કોરોનાના કહેર વચ્ચે બીએપીએસ સંસ્થા આવી લોકોની મદદે

હાલના વૈશ્વિક કોરોના પ્રકોપને પગલે ૨૧ દિવસનાં ‘લોકડાઉન’માં જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવા માટે દૈનિક જરૂરિયાત એવા તાજાં અને ઉત્તમ ગુણવત્તા વાળા શાકભાજી પૂર પાડવાની સેવા…

હાલના વૈશ્વિક કોરોના પ્રકોપને પગલે ૨૧ દિવસનાં ‘લોકડાઉન’માં જરૂરિયાતમંદ પરિવારોને સહાયરૂપ થવા માટે દૈનિક જરૂરિયાત એવા તાજાં અને ઉત્તમ ગુણવત્તા વાળા શાકભાજી પૂર પાડવાની સેવા ગુરુવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સહયોગથી બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) પૂરી પાડશે. ‘લોકડાઉન’નાં ત્રણ અઠવાડિયા દરમિયાન દરરોજ અમદાવાદનાં અલગ-અલગ વિસ્તારમાં જઈને જરૂરિયાત વાળા પરિવારોને નિઃશુલ્ક આ શાકભાજી અપાશે.

BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું છે કે હાલના સમયમાં કોરોના મહામારીનાં કપરા સમય વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના માર્ગદર્શન અને સહયોગથી તથા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ સાથે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદ શહેર-જિલ્લાનાં જુદાં-જુદાં વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ દરિદ્રનારાયણ(ગરીબ) પરિવારોને શાકભાજી લેવા પણ બહાર ન જવું પડે તેવા ઉમદા હેતુ સાથે નિ:શુલ્ક શાકભાજી વિતરણ કરવામાં આવશે. ગુરુવારથી આ સેવાનો પ્રારંભ થશે. જે અંતર્ગત સવારે ૭.૩૦થી ૯.૩૦ દરમિયાન તેનું વિતરણ થશે. માસ્ક પહેરેલાં અને સેનિટાઇઝ્ડ થયેલા સ્વયંસેવકો દ્વારા હિંમતનગર, નેનપુર વગેરેનાં ખેતરમાંથી લાવવામાં આવેલા તાજાં અને સારી ગુણવત્તાયુક્ત શાકભાજીને બાયોડીગ્રેડેબલ થેલીમાં પેક કરીને અપાશે. આ સ્વાસ્થ્યપ્રદ શાકભાજીમાં પ્રત્યેક પરિવારને બે દિવસ સુધી ચાલે તેટલા પ્રમાણમાં બટાટા, રીંગણ, દૂધી, કોબીઝ, ટામેટા, મરચાં-લીંબુનો સમાવેશ થાય છે.

તેમણે કાધુમાં જણાવ્યું કે જ્યારે આપણા રાષ્ટ્ર પર કુદરતી આપત્તિઓ આવી છે ત્યારે માનવસેવાનાં ઉમદા કાર્યમાં ‌BAPS સ્વામિનારાયણ સંસ્થા હંમેશા રાષ્ટ્રની સાથે ઊભી રહી છે. એ જ રીતે પોતાનું સામાજિક દાયિત્વ-કર્તવ્ય સમજીને વર્તમાન સમયમાં પણ જ્યાં સુધી કોરોના મહામારીને પગલે ‘લોકડાઉન’ની સ્થિતિ પ્રવર્તે છે ત્યાં સુધી ‌BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમદાવાદમાં નિ:શુલ્ક સ્વાસ્થ્યપ્રદ શાકભાજી વિતરણની જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરાશે.

લોકડાઉન દરમિયાન સહકાર આપવા પૂજ્ય મહંતસ્વામીની અપીલ

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંતસ્વામી મહારાજે દેશવાસીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે “વિશ્વના ઈતિહાસમાં કદાચ આટલું મોટું સંકટ ક્યારેય આવ્યું નહીં હોય. આ સંકટમાંથી સૌને બચાવવા માટે સરકાર, આરોગ્ય તંત્ર તેમજ અનેક લોકો પોતાના જીવના જોખમે દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે, પરંતુ એમનો બોજ ઘટાડવા માટે, આપણી તથા આપના સમાજની સલામતી માટે, સૌ પોતાના ઘરમાં જ રહે તે અતિ અતિ આવશ્યક છે.

આપ સૌ જાણો છો કે કોરોના મહામારીમાંથી બચવા અને બચાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ એ જ એક માત્ર સર્વશ્રેષ્ઠ ઉપાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વભરના અનુભવોને બરાબર ધ્યાનમાં લઈ ને ૨૧ દિવસ સુધી લોકડાઉનનો આદેશ આપ્યો છે. સૌ તેનું ખૂબ ગંભીરતાથી પાલન કરે તેમાં જ આપણું, સમગ્ર પરિવારનું, ઘરમાં રહેલાં બાળકો અને વડીલોનું, સમાજનું અને દેશનું ભલું રહેલું છે. માટે કૃપા કરીને સૌ ખૂબ ગંભીરતાથી અનુસરીને લોકડાઉનમાં સહયોગ આપે તેવી આગ્રહપૂર્વક વિનંતી કરું છું.”

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *