દ્વારકા(ગુજરાત): શિક્ષકદિન નિમિત્તે એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડની કન્યાશાળાના મુખ્ય શિક્ષકે કન્યા શાળાની કાયાપલટ કરી એક શિક્ષક શું કરી શકે તેનું ઉદાહરણ પૂરું પાડયું છે. 2018ની સાલમાં શાળામાં મુખ્ય શિક્ષક તરીકે જોડાયેલા શંકરસિંહ બારીયા ભાણવડની કન્યા શાળાને કાયાપલટ કરવા ખુબ જ મહેનત કરી હતી. જાણવા મળ્યું છે કે, ત્રણ વર્ષ પહેલાં જ્યાં શાળાની કુલ સંખ્યા 174 હતી તે શાળામાં આજે 605 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે દાતાઓના સહકારથી ત્રણ વર્ષથી એક પણ સરકારી શિક્ષક વિના અંગ્રેજી માધ્યમની શાળા શરુ કરવામાં આવી. આમ શાળાના એક શિક્ષકે આખી શાળાની કાયાપલટ કરી દીધી છે.
વર્ષ 2018માં કન્યા શાળા ભાણવડમાં એક મુખ્ય શિક્ષક તરીકે દાખલ થયેલ એક શિક્ષક એટલે શંકરસિંહ બારીયા. જ્યારે શાળામાં દાખલ થયા ત્યારે ધોરણ 2 થી 8 ની સંખ્યા 174 જેટલી હતી જે વધીને આજે ૬૦૫ થઈ ગઈ છે. સાડા ત્રણ વર્ષની તેઓની આ શિક્ષણ યાત્રામાં તેમણે શાળા માટે કરેલ પ્રેરણાદાયી પ્રયાસો અદભુત છે. આ શાળા તાલુકાની સૌથી વધુ સંખ્યા ધરાવતી શાળા બની.
જિલ્લાની એક માત્ર સરકારી શાળા કે જેમાં અંગ્રેજી માધ્યમની શાળા 3 વર્ષથી એક પણ સરકારી શિક્ષક વગર દાતાઓના સહયોગથી ચલાવવામાં આવે છે. જાણવા મળ્યું છે કે, અંગ્રેજી માધ્યમમાં હાલ ધોરણ 1 થી 8 માં 181 બાળકો છે, જયારે ગુજરાતી માધ્યમમાં 424 બાળકો અભ્યાસ કરે છે. આ શાળામાં છેલ્લા 3 વર્ષમાં દાતાઓના સહયોગથી શાળાને નંદનવન સમી બનાવી છે. છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે આ શાળામાં 150 એડમિશન થાય છે એ પણ ખાનગી શાળામાંથી.
જણાવી દઈએ કે, આ શાળામાં ભાણવડના 50 ટકા મોટા વેપારી અને સરકારી કર્મચારીઓના સંતાનો અભ્યાસ કરે છે. કોરોના કાળમાં પણ શાળા જાણે ઑફલાઇન જ શરૂ હોય એવું જીવંત વાતાવરણ આ શાળા દ્વારા ઓનલાઇન શિક્ષણ થકી પૂરું પાડવામાં આવી રહ્યું હતું. અત્યાર સુધીમાં આશરે 7 લાખ રૂપિયા જેટલી વસ્તુ સ્વરૂપે દાન મેળવીને એક સરકારી શાળા કે જેને જોઈને તમેં કોઈ પણ ખાનગી શાળાને ભૂલી જાવ એવું વાતાવરણ નિર્માણ કરનાર આ શાળાના ઉત્સાહી, નાવીન્ય પૂર્ણ પ્રયોગોના કસબી કન્યા શાળાના મુખ્ય શિક્ષક શંકરસિંહ બારીયાને ખુબ ખુબ અભિનંદન.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.