આ હોળીમાં હોલિકા દહન માટે લાકડા નહીં પરંતુ ગાયના છાણમાંથી બનતાં ગૌ-કાષ્ટથી થશે ‘વૈદિક હોલિકા દહન’

Vedic Holi In Surat: ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હવે લોકોમાં પર્યાવરણ જાળવણી અંગે પણ જાગૃતતા આવી રહી છે. લોકો હવે તહેવારોને પણ પર્યાવરણના જતન સાથે જોડીને મનાવી રહ્યા છે. ત્યારે આવનાર હોળી પર્વને લઈ લોકોમાં વૈદિક હોળી દહનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. શહેરમાં હોલિકાદહન(Vedic Holi In Surat) માટે લાકડા નહિ પણ ગાયના છાણમાંથી બનતાં ગૌ-કાષ્ટની માંગ અને બોલબાલા વધી છે.

વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌ-કાષ્ટનું દહન થશે
આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા 80 ટન ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. ગૌ-કાષ્ટ ગાયના ગોબરનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. દર વર્ષે જોવા મળે છે કે, હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન પણ થાય છે. પરંતુ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવા લોકો આગળ આવ્યા છે.

ગૌ કાંતિ ગૌશાળા દ્વારા 80 ટન જેટલી સ્ટીકો બનાવવામાં આવી
હોળી દહનમાં આખા રાજ્યમાં અને દેશમાં હજારો લાખો ટન લાકડાનું દહન કરવામાં આવશે,અને જરૂરી નથી કે દરેક જગ્યા પર સુકાયેલા વૃક્ષ મળી જાય એવી હજારો જગ્યા હશે જ્યાં લીલાછમ વૃક્ષો કાપી નાખી વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવશે અને સીધી રીતે પર્યાવરણ ને નુકશાન થશે. જોકે સુરત જિલ્લા ના માંગરોળના પિપોદ્રા ખાતે આવેલા ગૌ ક્રાંતિ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌમય કાષ્ટ માંથી બાયો સ્ટીકનું ઉત્પાદન કરી પર્યાવરણ બચાવવાના અને હિન્દૂ વિધિ એટલે કે વૈદિક રીતે હોલિકા દહન કરવા અપીલ કરવામાં આવી હતી.હાલ એલ.બી. ગૌ કાંતિ ગૌશાળા દ્વારા 80 ટન જેટલી સ્ટીકો બનાવવામાં આવી છે અને એક કિલોના 20 રૂપિયા ભાવ રાખી ઓર્ડર લેવામાં આવી રહ્યા છે.

આવકથી પાંજરાપોળની ગાયોને મદદ પણ મળશે
બીજી બાજુ આ આવકથી પાંજરાપોળની ગાયોને મદદ પણ મળશે. પાંજરાપોળમાં રહેતી અને તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય 10 હજાર જેટલી ગાયોના ગોબરમાંથી 80 ટન જેટલી ગૌ-કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે. આ વર્ષે સુરતની વિવિધ સોસાયટીઓ મળી 1000થી વધુ જગ્યાઓ પર વૈદિક હોળી પ્રગટાવવામાં આવશે. આ માટે લોકોએ વિવિધ ગૌશાળામાં ગૌ-સ્ટીકનું બુકિંગ પણ કરાવી દીધું છે