મહારાષ્ટ્રમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ખતરનાક અકસ્માત- ઘટનાસ્થળે જ 4 ક્રિકેટરોના કરૂણ મોત, 5 ગંભીર રીતે ઘાયલ

4CricketersDie: મહારાષ્ટ્રના શિંગણાપુર નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ક્રિકેટરોના(4CricketersDie) કરૂણ મોત નિપજ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ક્રિકેટરોની ટીમ રવિવારે એક ટૂર્નામેન્ટ રમવા…

4CricketersDie: મહારાષ્ટ્રના શિંગણાપુર નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ક્રિકેટરોના(4CricketersDie) કરૂણ મોત નિપજ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ક્રિકેટરોની ટીમ રવિવારે એક ટૂર્નામેન્ટ રમવા માટે બસમાં યવતમાલ જઈ રહી હતી. બસ નંદગાંવ ખંડેશ્વર તહસીલના શિંગનાપુર નજીક પહોંચી હતી ત્યારે સામેથી આવી રહેલા કોંક્રિટ મિક્સર ટ્રક સાથે અથડાઈ હતી. આ કરૂણ અકસ્માત બાદ ઘટનાસ્થળે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ દરમિયાન ચાર ક્રિકેટરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી, ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલોને અમરાવતી રીફર કર્યા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

ચાર લોકોના ઘટનાસ્થળ પર જ મોત
મળતી માહિતી મુજબ, આ ભયાનક અકસ્માતમાં ક્રિકેટર શ્રીહરિ રાઉત, જ્યુ બહાલે, સંદેશ પદાર અને સુયશ અંબર્ટેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત ખેલાડીઓને પહેલા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘાયલોને અમરાવતીની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોના નામ લૌકિક પેમાસે, મયુર નાગપુરે, પ્રજ્વલ બુચે, હરીશ ધાગે અને મંગેશ પાંડે છે.

સમાચાર મળતા જ હોસ્પિટલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા
તે જ સમયે, કેટલાક નાના ઇજાગ્રસ્ત ખેલાડીઓ તાલુકા આરોગ્ય કેન્દ્રમાં દાખલ છે. પોલીસના જણાવ્યા અનુસાર તમામ ખેલાડીઓના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી હતી. અકસ્માતની માહિતી મળતાં જ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તે જ સમયે, મૃતકોના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરવામાં આવી હતી.ત્યારે આ ઘટનાના પગલે મૃતકોના ઘરમાં ગમગીની છવાઈ ગઈ હતી અને તે વિસ્તાર મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

અન્ય લોકોને પહોંચી નાની મોટી ઇજા
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં પ્રજ્વલ કોચે, ભૂષણ પિવાસ્કર, પ્રણય યેવતિકર, વેદાંત અખારે, સૌરભ કુમરે, ધીરજ રાઉત, ઓમ અટલકર, હરિઓમ લુંગે, અક્ષય ચૌધરી, સંકેત ચાવડે, ભૂષણ પદાર, જય દેશમુખ, એન. અક્રે, રાહિલ કાત્રે અને સુબોધ દહાકેને સામાન્ય ઈજા થઈ છે.